1 જયારે ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યાં, ત્યારે તેમણે તેઓને સઘળાં અશુધ્ધ આત્માઓ કાઢવાનો તથા સર્વ રોગ મટાડવાનો પરાક્રમ અને અધિકાર આપ્યો 2 અને તેમણે તેઓને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવા અને માંદાઓને સાજા કરવા બહાર મોકલ્યા. 3 તેમણે તેઓને કહ્યું, "મુસાફરીમાં તમારી સાથે લાકડી, થેલી, ખોરાક, નાણાં કે વધારાનું શટઁ પણ લેતાં નહિ. 4 જે કોઇ ઘરમાં તમે જાઓ છો, તે શહેર છોડો ત્યાં સુધી તેમાં રહો. 5 જો લોકો તમારો આવકાર ન કરે તો તે શહેર છોડી દો અને તેઓની વિરુધ્ધ સાક્ષીરૂપ થવા તમારા પગની ધૂળ ખંખેરી નાંખજો." 6 પછી તેઓ ગામેગામ ફરીને સુસમાચાર પ્રગટ કરતા અને દરેક જગ્યાએ લોકોને સાજાપણું આપતાં.
7 હવે હેરોદ રાજાએ જે ચાલી રહ્યું હતું તેના વિશે સાંભળ્યું, અને તે મુંઝવણમાં મુકાઈ ગયો, કારણ કે ઘણાં એમ કહેતાં હતા કે યોહાન મરણમાંથી સજીવન થયો છે, 8 બીજા કહેતા કે એલિયા દેખાયો છે, અને વળી બીજા પ્રાચીન પ્રબોધકોમાંનો એક સજીવન થયો છે. 9 પણ હેરોદે કહ્યું, "યોહાનનો મેં શિરચ્છેદ કરાવ્યો છે, તો પછી આ કોણ, જેનાં વિશે હું આવી વાતો સાંભળું છું?" અને તેણે તેમને મળવાની ઇચ્છા કરી.
10 જયારે પ્રેષિતો પાછા આવ્યા ત્યારે તેઓએ જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. પછી તેમણે તેઓને લઈને બેથસૈદા કહેવાતાં શહેરમાં લઇ ગયા. 11 પણ ટોળાએ તે વિશે જાણી લીધું અને તેમની પાછળ ગયા. તેમણે તેઓને આવકાર્યા અને ઈશ્વરના રાજ્ય વિશે તેઓને કહ્યું, અને સાજાપણાની જરૂર હતી તેમને સાજાં કર્યા.
12 સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "ટોળાને મોકલો કે તેઓ નજીકનાં ગામોમાં જઈને આસપાસમાં પોતાને માટે ખાવાની અને રહેવાની વ્યવસ્થા કરે, કેમકે આપણે અહીં ઉજજડ સ્થળે છીએ."
13 તેમણે જવાબ આપ્યો, "તમે તેઓને કંઈક ખાવાનું આપો!"
તેઓએ જવાબ આપ્યો, "અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે, અમે જઈને એ સઘળાં ટોળા માટે ખાવાનું વેચાતું લાવીએ." 14 (ત્યાં લગભગ પાંચ હજાર પુરુષો હતા.)
પણ તેમણે પોતાનાં શિષ્યોને કહ્યું, "લોકોને પચાસ પચાસની પંગતમાં બેસાડો." 15 શિષ્યોએ તેમજ કયુઁ અને બધા બેસી ગયાં. 16 પાંચ રોટલી અને બે માછલી લઇને ઈસુએ આકાશ તરફ જોઇને તેમણે આભાર માનીને તેમનાં ટુકડાં કરીને આપી, પછી તેમણે લોકોને પીરસવાં માટે શિષ્યોને આપી. 17 તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.
18 એક વાર, જયારે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા અને શિષ્યો પણ તેમની સાથે જ હતા, તેમણે તેમને પૂછયું, "હું કોણ છું; એ વિશે ટોળું શું કહે છે?"
19 તેઓએ જવાબ આપ્યો, "કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત; કેટલાક કહે છે કે એલિયા; અને વળી બીજા કહે છે કે સજીવન થયેલ કોઈ પ્રાચીન પ્રબોધક છો."
20 તેમણે પૂછયું, "પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો?"
પિતરે જવાબ આપ્યો, "ઈશ્વરના મસીહ છો."
21 ઈસુએ તેઓને સખત તાકીદ કરી કે આ કોઈને કહેવું નહિ. 22 અને તેમણે કહ્યું, "માણસનો દીકરો પુષ્કળ દુઃખ સહન કરશે અને વડીલો, મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો તેનો નકાર કરશે, પછી તે મારી નંખાશે અને ત્રણ દિવસ પછી સજીવન થશે, એ જરૂરનું છે."
23 પછી તેમણે સઘળાને કહ્યું, "જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 24 કેમકે જે કોઇ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ગુમાવશે, પણ જે કોઇ મારે માટે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. 25 કોઇ આખું જગત મેળવે અને છતાં પોતાની જાત ગુમાવે તો તેથી તેને શું લાભ? 26 જે કોઈ મારે લીધે અને મારાંં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના તથા પિતાનાં તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેઓ શરમાશે.
27 "હું તમને સાચે જ કહું છું કે, જેઓ અહીં ઊભા રહેલાં છે તેઓમાંથી કેટલાક ઈશ્વરનું રાજ્ય જોશે નહિ ત્યાં સુધી મરણ પામશે નહિ."
28 એ વાતો કહ્યાંના લગભગ આઠ દિવસ પછી, પિતર, યાકોબ તથા યોહાનને લઈને પ્રાર્થના કરવા માટે પર્વત પર ગયા. 29 જયારે તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો વીજળીના ચમકારા જેવા ઉજળાં થઈ ગયાં. 30 બે માણસો, મોશે અને એલિયા ભવ્ય મહીમામાં ઈસુની સાથે વાત કરતા દેખાયા. 31 તેઓએ તેમની વિદાય વિશે વાત કરી, કે જે તે યરુશાલેમમાં પુરું થવાનું હતું. 32 પિતર અને તેના સાથીઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જયારે તેઓ જાગી ઊઠયાં ત્યારે તેઓએ તેમને મહિમામાં જોયા, અને તેમની સાથે ઊભેલા બે માણસો જોયા. 33 જયારે માણસો ઈસુ પાસેથી વિદાય થતા હતા, પિતરે ઈસુને કહ્યું, "ગુરૂજી! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે." (પોતે શું બોલતો હતો તે તે સમજતો ન હતો.)
34 હજી તેઓ બોલતાં હતા એટલામાં, એક વાદળ દેખાયું અને તેઓ પર છાયા કરી, અને તેઓ વાદળામાં પેઠાં ત્યારે તેઓ ગભરાય ગયા. 35 વાદળમાંથી એક વાણી સંભળાઈ, "આ મારો પુત્ર છે જેને મેં પસંદ કયોઁ છે; તેમનું સાંભળો." 36 જયારે વાણી સંભળાય હતી, ત્યારેતેઓએ એકલા ઈસુને જોયા. શિષ્યોએ એ મનમાં રાખ્યું અને તે સમયે તેઓએ જે જોયું તેમાંનું તે કોઇને કહ્યું નહિ.
37 બીજે દિવસે, જયારે તેઓ પહાડ પરથી નીચે ઊતર્યા, ત્યારે એક મોટું ટોળું તેઓને મળ્યું. 38 ટોળામાંથી એક માણસ બોલી ઊઠ્યો, "ગુરુજી! હું તમને વિનંતી કરું છું કે મારા દીકરાને જુઓ, કેમકે તે મારો એકનો એક દીકરો છે. 39 આત્મા તેને પકડીને મરડી નાખે છે; અને એકાએક બુમો પાડે છે; તે તેને એવો મરડીને ફેકી દે છે જેથી તેના મોંમાંથી ફીણ કાઢે છે. તે તેને ભાગ્યે જ છોડે છે અને તેનો નાશ કરે છે. 40 મેં તમારાં શિષ્યોને એ કાઢવા માટે વિનંતી કરી પણ તેઓ તેને કાઢી શક્યાં નહિ."
41 ઈસુએ જવાબ આપ્યો "ઓ અડીયલ અને અવિશ્વાસી પેઢી! હું કયાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ!"
42 વળી જયારે તે છોકરો આવતો હતો, ત્યાર અશુધ્ધ આત્માએ તેને જમીન પર પછાડીને મરડી નાંખ્યો, પણ ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો, અને છોકરાને સાજો કર્યો ને તેના પિતાને પાછો સોંપ્યો. 43 અને તેઓ સઘળાં ઈશ્વરના મહાપરાક્રમથી અચરત પામ્યા. જયારે તેમણે જે જે કયું હતું તે સવઁ જોઈને અચરત પામ્યા, ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું.
44 "હું તમને જે કહેવાનો છું તે ધ્યાનથી સાંભળો: માણસનો દીકરો માણસોનાં હાથમાં સોંપાશે." 45 પણ તેઓ શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યા નહિ. તે તેમનાથી ગુપ્ત રખાયું હતું. કે તેઓ તે સમજે નહિ, અને તેમને તે સંબંધી પૂછતાં તેઓ ગભરાતાં હતા.
46 શિષ્યોમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટું કોણ થશે. 47 ઈસુએ, તેઓના વિચાર જાણીને, તેમણે એક નાનાં બાળકને લઇને પોતાની પાસે ઊભુ રાખ્યું, 48 પછી તેમણે તેઓને કહ્યું, "જે કોઇ મારે નામે આ નાનાં બાળકનો આવકાર કરે છે, તે મારો આવકાર કરે છે, અને જે કોઇ મારો આવકાર કરે છે, તે મને મોકલનારનો આવકાર કરે છે. કેમકે તમારાં સવઁમાં, જે સૌથી નાનો છે તે સૌથી મોટો છે."
49 યોહાને કહ્યું, "ગુરુજી, અમે તમારાં નામે કોઈ એક માણસને અશુધ્ધ આત્મા કાઢતો જોયો, અને અમે તેને મના કરી કારણ કે તે આપણામાંનો એક નથી."
50 ઈસુએ જવાબ આપ્યો, "તેને મના ન કરો, કેમકે જે કોઈ તમારી વિરુધ્ધ નથી તે તમારાં પક્ષનો છે."
51 જેમ સ્વર્ગમાં ઉપર લઇ જવાનો સમય નજીક આવતો ગયો, તેમ તેઓ દ્રઢતાથી યરુશાલેમ તરફ આગળ વધવાં લાગ્યા. 52 અને તેમણે તેમની આગળ સંદેશાવાહક મોકલ્યા, જેઓ તેમના માટે વ્યવસ્થા કરવા સમરૂનીઓના ગામમાં ગયા. 53 તેઓ યરુશાલેમ તરફ જઈ રહ્યા હોવાથી ત્યાંના લોકોએ તેમનો આવકાર કયોઁ નહિ. 54 જયારે શિષ્યો, યાકોબ અને યોહાને આ જોયું તેઓએ પૂછયું, "પ્રભુ, શું તમે ઇચ્છો છો કે અમે તેઓનો નાશ કરવા આકાશમાંથી અગ્નિ બોલાવીએ?" 55 પણ ઈસુએ ફરીને તેઓને ઠપકો આપ્યો. 56 પછી તેઓ અને તેમના શિષ્યો બીજે ગામ ગયા.
57 તેઓ રસ્તે ચાલતાં હતા, ત્યારે એક માણસે તેમને કહ્યું, "તમે જયાં જશો ત્યાં, હું તમારી પાછળ આવીશ."
58 ઈસુએ જવાબ આપ્યો, "શિયાળવાને બખોલ હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને પોતાનું માથું મૂકવાને જગ્યા નથી."
59 તેમણે બીજા માણસને કહ્યું મારી "પાછળ આવ," પણ તેણે જવાબ આપ્યો, "પ્રભુ પહેલાં મને જઈને મારા પિતાને દફનાવવા દો."
60 ઈસુએ તેને કહ્યું, "મૂએલાઓને તેઓના મૂએલાને દાટવા દો, પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર."
61 વળી બીજા એકે કહ્યું, "પ્રભુ હું તમારી પાછળ આવીશ પણ તે પહેલાં મારાંં ઘરનાંને છેલ્લી સલામ કરવા મને જવા દો."
62 ઈસુએ જવાબ આપ્યો, "હળ પર હાથ મૂકીને પાછળ જોનાર કોઇ પણ ઈશ્વરના રાજ્યમાં સેવા કરવા લાયક નથી."