1 ઈસુ હોડીમાં બેસીને, પેલે પાર જઈને પોતાના નગરમાં આવ્યા. 2 કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં સૂતેલો તેમની પાસે લાવ્યાં, જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો, ત્યારે તેમણે તે માણસને કહ્યું, "દીકરા, હિંમત રાખ: તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
3 ત્યારે કેટલાક નિયમશાસ્ત્રનાં પંડિતોએ પોતાને કહેવા લાગ્યા, "આ માણસ ઈશ્વર નિંદા કરે છે!"
4 તેઓના વિચારો જાણીને, ઈસુએ કહ્યું, "તમે આવાં દુષ્ટ વિચારો મનમાં શા માટે કરો છો? 5 સહેલું શું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે.’ અથવા એમ કહેવું કે, ‘ઊઠ અને ચાલ?’ 6 પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, "ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા." 7 ત્યારે માણસ ઉઠીને પોતાને ઘેર ગયો. 8 જયારે ટોળાએ આ જોયું તેઓ ભયભીત થઈ ગયા, અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, કે જેણે માણસને એવો અધિકાર આપ્યો હતો.
9 જયારે ઈસુ ત્યાંથી જતા, તેમણે માથ્થી નામે એક માણસને જકાતનાકાએ બેઠેલો જોયો. તેમણે કહ્યું, "મારી પાછળ આવ." માથ્થી ઊભો થયો અને તેમની પાછળ ગયો.
10 જયારે ઈસુ માથ્થીના ઘરમાં રાત્રીભોજન કરી રહ્યા હતા, ત્યારે ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપીઓ આવીને તેમની તથા તેમના શિષ્યો સાથે જમ્યાં. 11 જયારે ફરોશીઓએ આ જોઈને તેઓએ તેમના શિષ્યોને કહ્યું, "તમારાં ગુરુ કર ઉઘરાવનારાઓ તથા પાપીઓની સાથે શા માટે ખાય છે?"
12 આ સાંભળીને ઈસુએ કહ્યું, "જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી પણ માંદાને છે. 13 પણ જઈને શીખો કે તેનો અથઁ શો છે? ‘હું દયા ચાહુ છું બલિદાન નહિ.’ કેમકે હું ન્યાયીઓને નહિ પણ પાપીઓને બોલાવવા આવ્યો છું."
14 ત્યારે યોહાનનાં શિષ્યોએ આવીને તેમને પૂછયું, "અમે અને ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારાં શિષ્યો ઉપવાસ કેમ કરતા નથી?"
15 ઈસુએ જવાબ આપ્યો: "વરરાજા સાથે હોય ત્યારે તેના મહેમાનોએ શોક કરવાની શી જરૂર? એવો સમય આવશે કે જયારે વરને તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે.
16 "જૂના વસ્ત્ર પર નવા વસ્ત્રનું થીંગડું કોઈ માંરતુ નથી, કારણ કે થીંગડાથી વસ્ત્ર ખેંચાઈને વધારે ફાટે છે. 17 નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો તેઓ ભરે તો મશકો ફાટી જાય, દ્રાક્ષારસ ઢોળાઈ જાય અને મશકોનો નાશ થાય; ના, તેઓ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરશે અને બંને સચવાય છે."
18 જયારે તેઓ આ કહેતાં હતા, ત્યારે સભાસ્થાનના એક અધિકારીએ આવીને તેમને પગે પડીને કહ્યું, "મારી દીકરી હમણાં જ મરણ પામી છે. પણ આવીને તમારો હાથ તેના પર મુકો એટલે તે જીવતી થશે." 19 ઈસુ ઊઠીને તેની સાથે ગયા, અને તેમના શિષ્યો પણ ગયાં.
20 ત્યાર પછી એક સ્ત્રી જેને બાર વરસથી રકતસ્ત્રાવનો રોગ હતો તેણે પાછળથી આવીને તેમનાં ઝભ્ભાની કીનારીને સ્પર્શ કર્યો; 21 તેણે મનમાં કહ્યું, "જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું, તો હું સાજી થઈશ."
22 ઈસુએ ફરીને તેને જોઈને, તેમણે કહ્યું "દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસે તને સાજી કરી છે." અને તે જ ક્ષણે સ્ત્રી સાજી થઈ ગઈ.
23 ઈસુ સભાસ્થાનનાં અધિકારીના ઘરમાં પ્રવેશ્યાં અને ટોળાને કકળાટ કરતાં અને વાંસળી વગાડતા લોકોને જોયા. 24 તેમણે કહ્યું, "બહાર જાવ, છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે." પણ તેઓએ તેમને હસી કાઢયાં. 25 લોકોના ટોળાને બહાર મોકલવામાં આવ્યા પછી, તેઓ અંદર ગયા અને છોકરીને હાથથી પકડી, અને તે ઊઠી. 26 આ સમાચાર આખા પ્રદેશમાં ફેલાઈ ગયા.
27 ઈસુ ત્યાંથી જતા હતા ત્યારે બે અંધજનો તેમની પાછળ ગયા, બૂમ પાડી, "ઓ દાવિદનાં દીકરા, અમારા પર દયા કરો."
28 જયારે ઈસુ ઘરમાં ગયા, ત્યારે અંધજનો તેમની પાસે આવ્યા અને તેઓએ તેમને પૂછયું. "હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે ખરો?"
તેઓએ કહ્યું, "હા પ્રભુ"
29 પછી તે તેઓની આંખોને સ્પર્શ કરીને બોલ્યાં, "તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ." 30 અને તેઓ દેખતાં થયા, ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, જો જો આ વિષે કોઈ જાણે નહિ. 31 પરંતુ તેઓએ બહાર જઈને તેમના વિષેના સમાચાર આખા પ્રદેશમાં ફેલાવી દીધા.
32 ત્યાંથી તેઓ બહાર જતાં, એક માણસ જેનામાં અશુધ્ધ આત્મા હોવાથી તે બોલી શકતો ન હતો તેને ઈસુની પાસે લાવવામાં આવ્યો. 33 જયારે અશુધ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે જે મૂંગો માણસ હતો તે બોલ્યો, ટોળાએ અચંબો પામીને કહ્યું, "ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી."
34 પરંતુ ફરોશીઓએ કહ્યું, "એ તો ભૂતોના સરદારથી તે અશુધ્ધ આત્માઓને બહાર કાઢે છે."
35 ઈસુ તમામ શહેરો અને ગામોમાં ગયા, તેઓના સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, રાજ્ય વિષેનો શુભસંદેશ પ્રગટ કરતા, અને દરેક પ્રકારની બિમારી અને રોગો મટાડતા. 36 જયારે તેમણે ટોળાને જોયું ને તેમને તેમના પ્રત્યે કરુણા ઊપજી, કારણ કે તેઓ પાળક વિનાનાં ઘેટાં જેવાં લાચાર અને અસહાય હતા, 37 ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, "ફસલ પુષ્કળ છે, પરંતુ મજૂરો થોડા છે. 38 ફસલનાં ધણીને પ્રાર્થના કરો કે જેથી તે પોતાની ફસલને સારું મજૂરો ખેતરમાં મોકલી આપે."