1 તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત આવ્યો, યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ કરતો, 2 અને કહેતો "પસ્તાવો કરો કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે." 3 આ એ છે કે જેના સંબંધી યશાયા પ્રબોધક દ્ઘારા કહેવામાં આવ્યું હતું:
"અરણ્યમાં પોકારનારની વાણી,
‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો,
તેમના માટે રસ્તા સીધા કરો.’ "
4 યોહાનનાં વસ્ત્ર ઊંટના વાળમાંથી બનેલાં હતાં, તે કમરે ચામડાંનો પટ્ટો બાંધતો. તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો. 5 યરુશાલેમથી, યહૂદિયામાંથી તથા યર્દનના સમગ્ર પ્રદેશોમાંથી લોકો તેની પાસે ગયા. 6 તેઓ પોતાનાં પાપની કબૂલ કરી, યર્દન નદીમાં તેમનાથી તેઓ બાપ્તિસ્મા પામ્યાં.
7 પણ જયારે તેણે ઘણાં ફરોશીઓ તથા સાદૂકીઓને જયાં તે બાપ્તિસ્મા આપતાં હતા ત્યાં આવતાં જોયા, ત્યારે તેમણે તેમને કહ્યું, "ઓ સર્પોનાં વંશજ! આવનાર કોપથી નાશી જવા તમને કોણે ચેતવ્યા? 8 પસ્તાવાની સાથે રહે તેવાં ફળ આપો. 9 અને એવું ન વિચારો કે તમે પોતે એમ કહી શકો કે, ‘અમારી પાસે અમારો પિતા અબ્રાહમ છે!’ હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહમને માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 10 કુહાડો વૃક્ષનાં મૂળ પર મંડાય ચૂકયો છે, અને દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં નાંખવામાં આવશે."
11 "હું તમને પાણીથી પસ્તાવાનું બાપ્તિસ્મા આપું છું, પણ એક જણ જે મારી પાછળ આવે છે, તે મારા કરતાં સમથઁ છે. તેમનાં ચંપલ ઉપાડવા હું યોગ્ય નથી; તે તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. 12 તેમનું સૂપડું તેમના હાથમાં છે, અને તે પોતાની ખળી સાફ કરશે. ઘંઉ કોઠારોમાં ભરશે, ને ભૂંસુ ન હોલવનાર અગ્નિમાં બાળી નાખશે."
13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવાં ગાલીલથી યર્દન નદીએ આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતા કહ્યું "મારે તમારી પાસે બાપ્તિસ્મા લેવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?"
15 ઈસુએ જવાબ આપ્યો, "હાલ એમ થવા દે: કારણ કે સઘળું ન્યાયીપણું એમ પુરું કરવા માટે આપણે આ કરીએ તે ઘટારત છે." પછી યોહાન સહમત થયો.
16 ઈસુએ બાપ્તિસ્મા લીધા પછી તરત તે પાણીમાંથી બહાર આવ્યા, તે સમયે આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરના રૂપમાં ઊતરતો અને પોતા પર આવતો જોયો. 17 અને આકાશવાણી થઈ, "આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું, તેનાથી હું પ્રસન્ન છું."