1 હવે તમે શ્રીમંતો સાંભળો, તમારાં પર આવી પડનાર સંકટોને કારણે રડો અને વિલાપ કરો. 2 તમારી સંપત્તિ સડી ગઈ છે, અને તમારાંં વસ્ત્રોને ઉધઈ ખાઈ ગઇ છે. 3 તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયાં છે. તેનો કાટ તમારી વિરુધ્ધ સાક્ષી આપશે અને તમારાંં શરીરને અગ્નિની જેમ ખાઈ જશે. તમે છેલ્લાં સમયને સારું દોલત સંઘરી રાખી છે. 4 જુઓ, તમારાંં ખેતરોમાં કાપણી કરનાર મજૂરોને છેતરપિંડી કરીને તમે વેતન આપ્યું નથી અને કાપણી કરનારાઓનો પોકાર સવઁશક્તિમાન ઈશ્વરના કાને પહોંચ્યો છે. 5 તમે પૃથ્વી પર મોજશોખ અને ભોગ વિલાસમાં જીવન જીવ્યાં છો અને તમે કતલનાં દિવસ માટે તાજામાજાં થયા છો. 6 તમે નિદોઁષને અન્યાયી ઠરાવીને મારી નંખાવ્યો છે; જે તમારો વિરોધ કરતો ન હતો.
7 ભાઈઓ અને બહેનો, પ્રભુનાં આગમન સુધી ધીરજથી રાખો. જુઓ. ખેડૂત ખેતરમાં થનાર મૂલ્યવાન પાકની કેવી રાહ જુએ છે, પાનખર અને વસંત ઋતુના વરસાદની ધીરજપૂવઁક રાહ જુએ છે. 8 તમે પણ ધીરજ રાખો અને દ્રઢ રહો, કેમકે પ્રભુનું આગમન નજીક છે. 9 ભાઈઓ અને બહેનો, એકબીજાની વિરુધ્ધ બડબડાટ ન કરો, તમારો ન્યાય થશે, ન્યાયાધીશ બારણાં આગળ ઊભા છે.
10 ભાઈઓ અને બહેનો, સતાવણી સહન કરવામાં અને ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા, તેઓનું ઉદાહરણ લો. 11 જેમ તમે જાણો છો તેમ, જેઓએ સહન કર્યું તેઓને ધન્ય ગણીએ છીએ, અને તમે અયૂબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુએ આખરે શું કયુઁ તે જોયું છે, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે.
12 આ ઉપરાંત, મારા ભાઈઓ અને બહેનો, સમ ખાશો નહિ, સ્વર્ગના, પૃથ્વીનાં કે બીજા કશાંના નહિ. પણ તમને દોષિત ઠરાવવામાં ન આવે માટે તમારી "હા" અથવા "ના" કહેવાની જરૂર છે.
13 શું તમારાંમાંથી કોઈ મુશ્કેલીમાં છે? તો તેમણે પ્રાર્થના કરવી, જો કોઈ ખુશ છે? તો તેમણે સ્તુતિગીતો ગાવા જોઈએ. 14 તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. 15 વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે. 16 તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.
17 એલિયા આપણા જેવો જ માણસ હતો. છતાં વરસાદ વરસે નહિ એવી તેણે આગ્રહથી પ્રાર્થના કરી, અને સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહિ. 18 ફરીથી તેણે પ્રાર્થના કરી, અને આકાશમાંથી વરસાદ પડયો, અને પૃથ્વીએ પોતાનો પાક ઉગાડ્યો.
19 મારા ભાઈઓ અને બહેનો, જો કોઈ તમારામાંથી સત્યથી ભટકી જાય, અને કોઈ તેને પાછો લાવે, 20 યાદ રાખો: જે કોઈ પાપીને તેના ભૂલભરેલા માગઁથી ફેરવશે તો તે એક પ્રાણને મૃત્યુમાંથી બચાવશે, અને ઘણા બધા પાપોને ઢાંકશે.