1 પ્રાચીન સમયમાં ઈશ્વર આપણા પિતૃઓ સાથે પ્રબોધકો દ્વારા જુદી જુદી રીતે અનેકવાર બોલ્યાં હતા, 2 પરંતુ આ છેલ્લા યુગમાં પુત્ર કે જેને તેમણે સઘળાના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરી, તેમની દ્રારા આપણી સાથે બોલ્યા. 3 પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે. 4 તેથી, તેમને જે નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તેઓને દૂતો કરતાં અત્યંત ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે.
5 કારણ કે ઈશ્વરે કયા દૂતને કયારેય કહ્યું છે કે,
"તું મારો પુત્ર છે;
આજે હું તારો પિતા થયો છું?"
વળી તેમણે,
"હું તેનો પિતા થઈશ,
અને તે મારો પુત્ર થશે?"
6 જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે કે,
"ઈશ્વરનાં સર્વ દૂતો તેની આરાધના કરો."
7 પોતાના દૂતો વિશે તે એમ કહે છે કે,
"તે પોતાના દૂતોને વાયુરૂપ અને
અગ્નિની જવાળા જેવા પોતાના સેવકોને કરે છે."
8 પરંતુ પુત્ર વિશે તે કહે છે,
"હે ઈશ્વર, તારું રાજ્યાસન સદાકાળ ટકશે;
અને તારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે.
9 તું ન્યાયીપણાને ચાહે છે અને અન્યાયીપણાનો ધિક્કાર કરે છે; તેથી ઈશ્વર, એટલે તારા ઈશ્વરે,
તારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષેક કયોઁ છે.
10 વળી તે કહે છે,
"હે પ્રભુ, આરંભમાં તેં પૃથ્વીનો પાયો નાંખ્યો,
અને આકાશો તારા હાથની કૃતિ છે.
11 તેઓ સવઁ નાશ પામશે, પરંતુ તું સદાકાળ રહેશે.
તેઓ જર્જરિત વસ્ત્ર સમાન જીણઁ થઈ જશે.
12 તું તેમને ઝભ્ભાની માફક વાળી લેશે
અને વસ્ત્રની પેઠે તેઓને બોલવામાં આવશે;
પરંતુ તું પોતે સદાકાળ એવો ને એવો જ રહેશે.
તારાં વર્ષોનો કદી અંત આવશે નહિ."
13 પણ ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે કે,
"જયાં સુધી હું તારા સર્વ શત્રુઓને તારું પાયાસન ન કરું,
ત્યાં સુધી તું મારે જમણે હાથે, બેસ?"
14 શું તેઓ સવઁ સેવા કરનાર આત્મા નથી તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી?