1 તેથી, તેમના વિશ્રામમાં પ્રવેશવાનું વચન હજું પણ મોજૂદ છે, તેમ છતાં આપણે સાવચેત રહેવું જોઈએ રખેને તમારાંમાંથી કોઈ પણ નિષ્ફળ ન જાય. 2 કેમકે જેમ આપણને તેમ તેઓને પણ સુસમાચાર પ્રગટ કરવામાં આવેલ છે, પણ જે સંદેશો તેઓએ સાંભળ્યો તે તેઓને લાભકારક થયો નહિ, કેમકે જેઓએ આજ્ઞા પાળી તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયાં નહિ. 3 હવે આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ, જેમ ઈશ્વરે કહ્યું છે,
"મેં મારા ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે,
‘તેઓ મારા વિશ્રામમાં કદી પ્રવેશ કરશે નહિ.’ "
જો કે જગતની ઉત્પતિ થઈ ત્યારથી તેમના કામો પૂરાં થયેલા છે. 4 કેમકે કોઇક જગ્યાએ સાતમાં દિવસ વિશે તેમણે આ શબ્દોમાં કહ્યું છે કે: "સાતમાં દિવસે ઈશ્વરે પોતાના કામોથી વિશ્રામ કર્યો." 5 અને વળી એ જ જગ્યાએ તે કહે છે કે, "તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ."
6 તો કેટલાકને હજુ પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને પહેલાં તે સુસમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા, તેઓની આજ્ઞાભંગને કારણે તેઓ વિશ્રામવારમાં પ્રવેશ પામી શક્યાં નહિ. 7 માટે ઈશ્વરે એક ચોક્કસ દિવસ ઠરાવ્યો, અને તેને "આજ" કહ્યો ઘણાં સમય પછી, તેમણે દાવિદ મારફતે આ વાત કહી, જેમ કે પહેલેથીજ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
"આજ જો તમે તેની વાણી સાંભળો,
તો તમે તમારાંં હૃદય કઠણ કરશો નહિ."
8 કેમકે જો યહોશુઆએ તેઓને સાબ્બાથ-વિશ્રામ આપ્યો હોત, તો ત્યાર પછી ઈશ્વર બીજા દિવસ વિશે ન કહેત. 9 તો પછી, ઈશ્વરના લોકો માટે વિશ્રામનો દિવસ હજુ બાકી છે; 10 કેમકે જેમ ઈશ્વરે પોતાના કામોથી વિશ્રામ લીધો, તેમ વિશ્રામમાં જેણે પ્રવેશ કયોઁ છે, તે પણ પોતાના કામથી વિશ્રામ લે છે. 11 એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશવા માટે ખંત રાખીને યત્ન કરીએ, જેથી કોઈ પણ આજ્ઞાભંગના ઉદાહરણને અનુસરીને નાશ ન પામે.
12 કેમકે ઈશ્વરનાં વચન જીવંત અને સક્રિય છે, તે કોઇ પણ બેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ હથિયાર કરતાં પણ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને, સાંધા અને મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારો અને વલણનો ન્યાય કરે છે. 13 આખી સૃષ્ટિમાં તેમની સમક્ષ કંઈ પણ ગુપ્ત નથી, જેમને આપણે હિસાબ આપવાનો છે તેમની નજર સમક્ષ સઘળું ખુલ્લું છે.
14 તેથી, આપણી પાસે એક મહાન યાજક છે. જે સ્વર્ગમાં ગયેલાં છે, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ મસીહ, માટે આપણે જે વિશ્વાસનો દાવો કરીએ છીએ તે દ્રઢતાથી પકડી રાખીએ. 15 કેમકે આપણી પાસે એવો પ્રમુખયાજક નથી જે આપણી નિર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી ન શકે, પણ આપણી જેમ દરેક પ્રકારે પરીક્ષણો પામેલા છતાં તેઓ નિષ્પાપ રહ્યા. 16 તેથી દયા પામવાને, અને અગત્યને સમયે સહાય મેળવવાને માટે આપણે હિંમતથી કૃપાસનની પાસે જઈએ.