1 એક વાર ઈસુ સરોવર કિનારે શિક્ષણ આપવાં લાગ્યા, મોટી સંખ્યામાં લોકો સરોવરના કિનારે ત્યાં એકઠા થયા તેથી તેમણે હોડીમાં બેઠા. જયારે બધા લોકો કિનારે હતા 2 તેમણે દ્રષ્ટાંતો દ્રારા ઘણી વાતો શીખવી, તેમાનું એક દ્રષ્ટાંત આ પ્રમાણે હતું, 3 "સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો, 4 જયારે તે વાવતો હતો, ત્યારે થોડાં બી પગદંડી પર પડયાં, અને પક્ષીઓ આવી તે ખાઈ ગયાં. 5 કેટલાક ખડકાળ જમીન પર પડયાં, જયાં વધારે માટી ન હતી, તેથી તે જલદી ઊગી નીકળ્યાં. 6 કેમકે જમીન છિછરી હતી. પણ જયારે સૂર્ય ઉપર આવ્યો ને છોડ ચીમળાઈ ને સુકાઈ ગયા, કેમકે તેમને મૂળ ન હતા. 7 કેટલાક બી કાંટા ઝાંખરામાં પડયાં, ઝાંખરાએ વધીને છોડને દાબી દીધા, તેથી કાંઈ ફળ ન આપ્યું. 8 પણ કેટલાક બી સારી જમીનમાં પડયાં, અને ઉગ્યા, વધ્યાં અને ફળ આપ્યા, કેટલાકને ત્રીસ ગણાં, કેટલાકને સાઠગણાં અને કેટલાકને સો ગણાં."
9 અને ઈસુએ તેઓને કહ્યું, "જેને સાંભળવાને કાન હોય તે સાંભળે."
10 ઈસુ એકલા હતા, ત્યારે બાર શિષ્યો અને અન્ય જેઓ તેમની આસપાસ હતા તેમણે, આ દ્રષ્ટાંત વિશે પૂછયું? 11 તેમણે કહ્યું, "ઈશ્વરના રાજ્યનાં સમજવાનો મમઁ તમને આપવામાં આવ્યો છે. પણ જેઓ બહારનાં છે તેમને બધું દ્રષ્ટાંતોમાં કહેવાય છે; 12 કારણ કે,
" ‘તેઓ સદા જોશે પણ કયારેય જાણશે નહિ; અને સદા સાંભળશે પણ કદી સમજશે નહિ,
રખેને તેઓ પાછા ફરે અને પાપની માફી પામે.’ "
13 અને ઈસુએ કહ્યું "શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો મારાંં બીજા દ્રષ્ટાંતો શી રીતે સમજી શકશો? 14 વાવનાર વચન વાવે છે. 15 ઘણા લોકો પગદંડી પર પડેલા બી સમાન છે, જેઓમાં ઈશ્વરનાં વચનો વવાય છે, ને જેવા તેઓ વચન સાંભળે છે, કે તરત જ શેતાન આવી તે વચન લઈ જાય છે જે તેમનામાં વાવ્યા. 16 ખડકાળ જમીન એટલે બીજા પ્રકારના લોકો, તેઓ ઈશ્વરનાં વચનો તરત સાંભળે છે અને આનંદથી સ્વીકારી લે છે. 17 તેનામાં મૂળ નહિ હોવાને કારણે તેઓ લાંબુ ટકતા નથી. જયારે વચન માટે સતાવણી અને મુશ્કેલી થતાં જ તેઓ પાછાં પડી જાય છે. 18 હજી બીજા બી કે જેઓ ઝાંખરામાં પડયા, જેઓ વચન સાંભળે છે, 19 પરંતુ ટૂંક સમયમાં જ જીવનની ચિંતાઓ, સંપતિનું કપટ, અનેક વસ્તુઓ મેળવવાની લાલચ ઈશ્વરના વચનને દાબી દે છે, ને તે ફળદાયક રહેતું નથી. 20 બીજા, સારી જમીનમાં વવાયેલા તેઓ એ છે, તેઓ સાચાં અર્થમાં ઈશ્વરના વચન સાંભળે છે ને સ્વીકારીને ઈશ્વર માટે પુષ્કળ ફસલ ઉપજાવે છે, કેટલાક ત્રીસ ગણા, કેટલાક સાઠ ગણા અને કેટલાક સો ગણા."
21 તેણે તેઓને કહ્યું, "શું તમે દીવો વાટકા કે પથારી નીચે મૂકવા લાવો છો? તેના બદલે, શું તમે તેને તેના સ્ટેન્ડ પર મૂકશો નહીં? 22 જે ગુપ્ત છે તે એટલા માટે કે જાહેર થાય, અને જે છાનું છે તે પ્રગટ કરવામાં આવે, 23 જેને સાંભળવાને કાન હોય તે સાંભળે."
24 તેણે તેઓને કહ્યું, "તમે જે સાંભળો છો તે વિશે સાવધ રહો, જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તેનાથી પણ વધતું અપાશે; 25 જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે; અને જેની પાસે નથી તેનું જે છે, તે પણ લઈ લેવામાં આવશે."
26 અને તેણે એ પણ કહ્યું, ઈશ્વરનું રાજ્ય આવું છે, "એક માણસે ખેતરમાં બી વાવ્યા. 27 રાતદિવસ તે ઊંઘે તથા જાગે અને તે બી ઊગે ને વધે પણ કેવી રીતે એ તે જાણતો નથી. 28 જમીને આપમેળે પાક ઊપજાવે, પ્રથમ ફણગા, પછી ઊંબીઓ, અને છેવટે પાક પૂરાં દાણા ઊપજાવે છે. 29 પાક ઊપજ્યા પછી તરત માણસ દાંતરડું લગાડે છે, કેમકે કાપણીનો સમય આવ્યો છે."
30 ફરીથી તેમણે કહ્યું, "ઈશ્વરનુ રાજ્ય શેના જેવું છે, અને તેને સમજવા શું દ્રષ્ટાંત અપાય? 31 તે રાઈના બી જેવું છે, તે પૃથ્વી પર બધા બી મા સૌથી નાનું છે, 32 તેમ છતાં જયારે તે વવાય, ત્યારે તે ઉગે છે અને બગીચાના તમામ છોડમાં સૌથી મોટો બની જાય છે, તેની મોટી ડાળીઓમાં આકાશના પક્ષીઓ તેની છાયામાં માળા બાંધે છે."
33 ઈસુએ બીજા ઘણા સમજી શકાય તેટલાં વચન દ્રષ્ટાંતો દ્રારા તેઓને કહ્યાં; 34 તેઓ દ્રષ્ટાંતો સિવાય તેઓને કંઇ કહેતા ન હતા, પરંતુ જયારે પોતાના શિષ્યોની સાથે એકલા હોય ત્યારે તેનો બધો અર્થ સમજાવતા.
35 તે દિવસે સાંજ પડતાં તેમણે પોતાના શિષ્યોને કહ્યું, "ચાલો, આપણે સરોવરને પેલે પાર જઈએ." 36 જનસમુદાયને પાછળ રહેવા દઈને શિષ્યો એમનેએમ તેમને લઈને હોડીમાં નીકળી પડયાં, બીજી હોડીઓ પણ તેઓની સાથે હતી. 37 પવનનું ભારે તોફાન આવ્યું, મોજાં હોડી પર ઉછળવા લાગ્યાં, હોડી પાણીથી ભરાઈને ડૂબવા લાગી. 38 હોડીના પાછલાં ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઈસુ ઊંઘતા હતા. શિષ્યોએ મને જગાડયા ને તેમને કહ્યું, "ગુરુજી! જો અમે ડૂબીએ તો તેની તમને શું કાંઈ ચિંતા નથી?"
39 "તેઓ ઊઠયાં અને પવનને ધમકાવ્યો અને મોજાને કહ્યું, શાંત થા!" પછી તરત જ પવન બંધ થયો અને સંપૂર્ણ શાંતિ થઈ.
40 પછી તેમણે શિષ્યોને કહ્યું, "તમે શા માટે આટલા બધાં ગભરાઈ ગયા? શું હજીયે તમને વિશ્વાસ નથી?"
41 તેઓ ભયભીત થઈને એકબીજાને કહેવા લાગ્યા, "આ તે કોણ છે? પવન અને મોજા પણ તેમનું માને છે!"