Publicidade

Marcos 11

યરુશાલેમમાં ઈસુનો રાજા તરીકે પ્રવેશ

1 જયારે તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ આગળ બેથફગે તથા બેથાનિયા પાસે આવ્યા, ઈસુએ તેમનાં બે શિષ્યોને મોકલ્યા, 2 ઈસુએ તેઓને કહ્યું, "તમારી આગળનાં ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ત્યાં તમને એક વછેરો બાંધેલો જોવા મળશે, તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી, તેને છોડી ને અહીં લાવો. 3 જો કોઈ તમને પૂછે કે, ‘આમ શા માટે કરો છો?’ તો કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે, અને થોડા સમય પછી તેને અહીં પાછું મોકલી આપશે.’ "

4 તેઓ ગયાં અને બહાર રસ્તા પર બહાર એક વછેરો બાંધેલો મળ્યો. જયારે તેઓ તેને છોડતાં હતાં, 5 ત્યારે ત્યાં પાસે ઊભેલાઓમાંથી કેટલાકે પૂછયું, "તમે શું કરો છો? વછેરાને છોડો છો?" 6 ઈસુના કહ્યાં પ્રમાણે તેઓએ જવાબ આપ્યો, અને લોકોએ તેઓને જવા દીધા. 7 જયારે તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યાં, અને પોતાનાં ઝભ્ભા તેના ઉપર પાથર્યાં પછી તેઓ તેના પર બેઠા. 8 ઘણા લોકોએ રસ્તા ઉપર પોતાનાં ઝભ્ભા પાથયાઁ, જયારે બીજાઓએ ખેતરોમાંથી ડાળીઓ કાપી લાવીને પાથરી. 9 જેઓ તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા,

"હોસાન્ના!"

"પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય હો."

10 "આપણા પિતા દાવિદનું આવનાર રાજ્ય ધન્ય છે."

"ઉચ્ચ સ્વગઁમાં!" હોસાન્ના!

11 ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો અને મંદિરનાં આંગણામાં ગયા, તેમણે ચારેબાજુ નજર નાંખી બધું જોયું, પરંતુ મોડું થયું હોવાથી બાર શિષ્યો સાથે તે બેથાનિયા ચાલ્યા ગયા.

ઈસુ મંદિરનાં આંગણાને શુદ્ઘ કરે છે

12 બીજે દિવસે જયારે તેઓ બેથાનિયાથી નીકળ્યાં પછી, ઈસુ ભૂખ્યાં થયા. 13 થોડે દૂર તેમણે પુષ્કળ પાંદડાંથી છવાયેલી એક અંજીર જોઈ, કદાચ તેના પરથી ફળ મળે માટે જયારે તેઓ ત્યાં ગયા. ત્યારે પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ, કારણ અંજીરની મોસમને હજી વાર હતી. 14 પછી તેમણે ઝાડને કહ્યું, "હવે પછી તારા પરથી કદી કોઈ ફળ ન ખાઓ." અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.

15 યરુશાલેમ પહોંચીને, ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા, તેમણે વેચનારાઓને અને ખરીદનારાઓને ત્યાંથી હાંકી કાઢયાં, નાણાંવટીઓના ટેબલ અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી કરી નાંખી. 16 અને કોઈને પણ મંદિરમાં માલસામાન લઈ જવા દીધો નહિ. 17 તેમણે બોધ કરતા લોકોને કહ્યું, "શું એવુ લખેલું નથી: ‘મારું મંદિર બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.’ પણ તમે તો એને લુંટારાઓનું કોતર બનાવી દીધું છે."

18 આ સાંભળીને મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતોએ ઈસુને ખતમ કરવાનું કાવતરું ઘડવા લાગ્યા, કેમકે તેઓને તેમનો ડર હતો, કારણ સમગ્ર ટોળું તેમનાં શિક્ષણથી અચરત થઈ ગયું હતું.

19 સાંજ પડતાં ઈસુ અને તેમનાં શિષ્યો શહેર બહાર ગયા.

20 સવારમાં શિષ્યોએ રસ્તે જતાં, પેલી અંજીર જોઈ તે મૂળમાંથી સુકાઈ ગઈ હતી. 21 તે પિતરે યાદ કરીને, ઈસુને કહ્યું, "ગુરુજી જુઓ! તમે જે અંજીરને શાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ."

22 ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વર પર વિશ્વાસ રાખો, 23 હું સાચે જ કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે તે ‘ખસી જઈને સમુદ્રમાં નંખાય,’ અને મનમાં સંદેહ રાખ્યાં વગર એ વિશ્વાસ રાખશો તો જે તેમણે કહ્યું છે તે પ્રમાણે થશે જ, એ એમનાં માટે થશે. 24 એ માટે હું તમને કહું છું તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગો છો, તે તમને મળી ચૂકયું છે એવો વિશ્વાસ રાખો, અને તે તમારું થશે. 25 અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે. 26 જો તમે માફ નહિ કરો તો આકાશમાંના પિતા પણ તમારાં અપરાધ તમને માફ નહિ કરે."

ઈસુના અધિકાર વિશે પ્રશ્ર

27 તેઓ ફરી યરુશાલેમમાં આવ્યા; ઈસુ મંદિરનાં આંગણાંમાં ફરતાં હતા, ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલો તેમની પાસે આવ્યા. 28 તેઓએ પૂછયું, "કયાં અધિકારથી તમે આ કામો કરો છો? અને આ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?"

29 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને એક પ્રશ્ર પૂછીશ, મને જવાબ આપો, અને હું તમને કહીશ કે કયાં અધિકારથી હું આ કામો કરું છું. 30 યોહાનનું બાપ્તિસ્મા શું તે સ્વગઁથી હતું કે માણસોથી? મને કહો!"

31 તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, "જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહી? 32 પણ જો આપણે કહીએ કે, ‘માણસોથી’…" (તેઓ લોકોથી ડરતા હતા, કારણ કે બધા માનતા હતા કે યોહાન ખરેખર પ્રબોધક હતો.)

33 તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, "અમે જાણતા નથી."

ઈસુએ કહ્યું, "તો હું પણ તમને કહેતો નથી, કે કયાં અધિકારથી હું આ કામો કરું છું."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-