1 કેટલાક દિવસો પછી ઈસુ કપરનાહૂમ પાછા આવ્યા, લોકોએ સાંભળ્યું કે તેઓ ઘરમાં છે. 2 લોકોનાં ટોળેટોળાં આવવાં લાગ્યા જે ઘરમાં તે હતા, તે ખીચોખીચ ભરાઈ ગયું, આંગણાંમાં પણ જગા ન રહી ત્યાં ઈસુએ વચનનો ઉપદેશ આપ્યો. 3 કેટલાંક માણસો તેમની પાસે એક લકવાગ્રસ્ત થયેલા માણસને લાવ્યા, જેને ચાર માણસો ઉંચકીને લઈ ગયા હતાં. 4 ટોળાને કારણે તેઓ ઈસુ પાસે પહોંચી શક્યા નહિ, તેથી તેઓએ ઈસુની ઊપર નું છાપરું ઉકેલીને તે માણસને પથારી સાથે તેમની આગળ ઉતાર્યો. 5 તેઓનો દ્રઢ વિશ્વાસ જોઈને ઈસુએ લકવાગ્રસ્ત માણસને કહ્યું, "દીકરા, તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
6 ત્યાં બેઠેલાં કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ પોતાના મનમાં વિચાયુઁ, 7 "આ માણસ આવી રીતે કેમ બોલે છે? આ તો ઈશ્વર નિંદા છે! એક, એટલે ઈશ્વર, એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?"
8 ઈસુએ તેઓના મનના વિચારો પોતાના આત્મામાં જાણી લઈને તરત તેમને કહ્યું, "એવા વિચારો મનમાં શા માટે કરો છો? 9 સહેલું શું છે? એટલે લકવાગ્રસ્તને એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે અથવા એમ કહેવું કે ‘ઊઠ! તારી પથારી ઊંચકીને ચાલ?’ 10 પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." 11 "તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા." 12 તે ઊભો થયો અને બધાનાં દેખતાં પથારી ઊંચકીને બહાર ચાલ્યો ગયો, લોકો સ્તબ્ધ થઈ ગયા, ઈશ્વરની સ્તુતિ કરતાં તેઓ કહેવા લાગ્યા કે, "આવું અમે કદી જોયું નથી."
13 ઈસુ ફરીથી ગાલીલના સરોવર કાંઠે ગયા, તેમની પાસે ઘણા લોકો એકત્ર થયા. ઈસુએ તેઓને ઉપદેશ આપ્યો. 14 રસ્તે જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જકાતનાકા પર બેઠેલો જોયો, ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ." લેવી ઊભો થયો અને તેમની પાછળ ગયો.
15 જયારે ઈસુ લેવીના ઘરે રાત્રીભોજન કરી રહ્યા હતા, ત્યારે ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપીઓ તેમની સાથે અને તેમના શિષ્યો સાથે જમતા હતા, કારણ કે તેમની પાછળ ઘણા લોકો હતા. 16 ઈસુને આવા માણસોની સાથે ભોજન લેતાં જોઈને ફરોશી સંપ્રદાયના કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ શિષ્યોને કહ્યું, "કર ઉઘરાવનારાઓ અને પાપીઓની સાથે તે કેમ ખાય છે?"
17 આ સાંભળીને ઈસુએ તેઓને કહ્યું, "જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી, પણ માંદાને છે. હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું."
18 કેટલાક લોકોએ ઈસુની પાસે આવીને પૂછયું, "યોહાન બાપ્તિસ્માનાં શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરે છે, પણ તમારાં શિષ્યો ઉપવાસ કેમ કરતા નથી?"
19 ઈસુએ જવાબ આપ્યો, વરરાજાના મહેમાનો તેમની સાથે હોય ત્યારે તેઓ કેવી રીતે ઉપવાસ કરી શકે? જયાં સુધી તેઓ તેમની સાથે હોય ત્યાં સુધી તેઓ કરી શકતા નથી, 20 પરંતુ એવો સમય આવશે જયારે વરરાજા તેઓની પાસેથી લઇ લેવામાં આવશે, અને તે દિવસે તેઓ ઉપવાસ કરશે.
21 "જૂના વસ્ત્રને નવા વસ્ત્રનું થીંગડું મારે તો શું બને? થીંગડું સંકોચાય છે અને વસ્ત્ર વધારે ફાટી જાય છે. 22 જૂની મશકોમાં નવો દ્રાક્ષારસ ભરવાથી શું થાય, તે ફાટી જાય, દ્રાક્ષારસ ઢળી જાય અને મશકોનો નાશ થઈ જાય; નવો દ્રાક્ષારસ માટે નવી જ મશકો જોઈએ."
23 એક વિશ્રામવારે ઈસુ અને તેમના શિષ્યો દાણાના ખેતરમાંથી પસાર થતા હતા. શિષ્યો ઘઉંનાં કણસલાં તોડતા હતા. 24 કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, "જુઓ, તેઓ જે નિયમની વિરુધ્ધ છે તે વિશ્રામવારે કેમ કરે છે."
25 ઈસુએ ઉત્તર આપ્યો, "દાવિદ અને તેના સાથીઓ ભૂખ્યાં અને જરૂરિયાતમાં હતા ત્યારે જે બન્યું તે શું તમે વાંચ્યું નથી? 26 અબ્યાથાર મુખ્ય યાજકના સમયમાં તે મંદિરમાં જઈને જે અર્પિત રોટલી ફકત યાજકોને ખાવાની છૂટ હતી તેણે ખાધી તેમજ તેના સાથીઓએ પણ ખાધી."
27 "વિશ્રામવાર માણસનાં માટે બનાવ્યો છે, માણસ વિશ્રામવાર માટે નથી. 28 માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છું."