Publicidade

Marcos 9

1 તેમણે તેઓને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે: જેઓ અહીં ઊભા છે તેઓમાંના કેટલાક ઈશ્વરના રાજ્યને સામથ્યઁમાં આવતું ન જુએ ત્યાં સુધી મરણ પામશે નહિ."

રૂપાંતર

2 છ દિવસ પછી ઈસુ પિતર, યાકોબ અને યોહાનને લઈને એક ઊંચા પર્વત પર ગયાં; ત્યાં તેઓ એકલા હતા. ત્યાં તેઓની આગળ તેમનું રૂપાંતર થયું. 3 તેમનાં વસ્ત્ર એવાં ઝળહળી ઊઠયાં, કે જગતનો કોઈ પણ ધોબી એવી ચમક લાવી ન શકે 4 ત્યાં તેઓની આગળ એલિયા તથા મોશે ઈસુ સાથે વાત કરતા દેખાયા.

5 પિતરે ઈસુને કહ્યું, "રાબ્બી! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે." 6 (તેઓ બહુ ગભરાઈ ગયા અને શું બોલવું તેની તેને સૂઝ પડી નહિ.)

7 એવામાં એક વાદળ દેખાયું અને તેઓનાં ઉપર છાયા કરી, અને વાદળમાંથી એક વાણી સંભળાઈ, "આ મારો પ્રિય પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું, તેનું સાંભળો!"

8 તત્કાળ, ચારેબાજુ જોઈને તેમણે પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.

9 અને જ્યારે તેઓ પર્વત ઉપરથી નીચે ઊતરતાં હતાં, ઈસુએ તેઓને ફરમાવ્યું કે માણસનો દીકરો મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી તમે જે જોયું છે તે કોઈને કહેતા નહિ. 10 તેઓએ એ વાત મનમાં રાખી, અને મરણમાંથી સજીવન થવું શું હશે, તે વિશે ચર્ચા કરતા રહ્યા.

11 અને તેઓએ તેને પૂંછયું, "નિયમશાસ્ત્રના પંડિતો કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ?"

12 ઈસુએ જવાબ આપ્યો, "એ સાચુ છે. કે એલિયા પ્રથમ આવે છે ખરો અને બધું વ્યવસ્થિત કરશે, માણસના દીકરા વિષે એમ કેમ લખેલું છે કે તેમણે અતિશય દુઃખ સહેવું અને તુચ્છકાર પામવો? 13 હું કહું છું, કે એલિયા આવ્યો છે, અને તેના વિષે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કયુઁ."

અશુદ્ધ આત્માથી છોકરાનો છૂટકારો

14 જયારે તેઓ બીજા શિષ્યોની પાસે આવ્યા, ત્યારે તેઓએ તેમની આસપાસ એક મોટું ટોળું જોયું અને તેઓની સાથે નિયમશાસ્ત્રના પંડિતો દલીલો કરતા હતા. 15 તરત ઈસુને જોઈને બધા લોકો પ્રભાવિત થઈ ગયા, અને દોડી જઈને તેમને પ્રણામ કર્યા.

16 તેમણે પૂછયું, "તમે તેઓની સાથે શાનો વાદવિવાદ કરો છે?"

17 ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, "ગુરુજી, મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો આત્મા વળગ્યો હોવાથી તે બોલી શકતો નથી. 18 એ જયારે તેને પકડે છે, ત્યારે તેને જમીન પર પછાડે છે, તે મોંમાંથી ફીણ કાઢે છે, તે દાંત પીસે છે, ને તે નબળો થતો જાય છે; મેં તમારાં શિષ્યોને આત્મા કાઢવા વિનંતી કરી પણ તેઓ કાઢી ન શક્યા."

19 ઈસુએ જવાબ આપ્યો, "ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાંં સુધી તમારી સાથે રહીશ? હું કયાં સુધી ધીરજ રાખું? છોકરાંને મારી પાસે લાવો!"

20 તેઓ છોકરાંને તેમની પાસે લાવ્યાં, ઈસુને જોતાં તરત જ અશુધ્ધ આત્માએ છોકરાંને ભયંકર રીતે મરડી નાંખ્યો, તે નીચે પડી ગયો અને આળોટવા તથા મોંમાથી ફીણ કાઢવાં લાગ્યો.

21 ઈસુએ છોકરાનાં પિતાને પૂછયું, "એને કેટલાં સમયથી આવું થાય છે?" તેણે કહ્યું:

"નાનપણથી જ." 22 "તેણે તેને ઘણીવાર મારી નાંખવાં તે એને અગ્નિમાં કે પાણીમાં નાંખી દે છે, જો તમારાંથી કાંઈ થઈ શકે એમ હોય તો દયા કરી અમને મદદ કરો!"

23 ઈસુએ કહ્યું, "જો કાંઈ થઈ શકે તો? જે વિશ્વાસ કરે છે તેને સઘળું શકય છે."

24 તરત છોકરાંનો પિતા બોલી ઊઠયો, "મને વિશ્વાસ છે, મારો અવિશ્વાસ દૂર કરવા માટે મારી સહાય કરો."

25 જયારે ઈસુએ ટોળાને દોડતું આવતું જોઈને તેમણે અશુધ્ધ આત્માને ધમકાવ્યો. "ઓ બહેરાં મૂંગા આત્મા, હું તને હુકમ કરું છું, કે તેમાંથી બહાર નીકળ અને ફરી કદી તેનામાં પ્રવેશ કરીશ નહિ."

26 ત્યારે આત્માએ ચીસ પાડી, છોકરાને મરડી નાંખ્યો અને તે હિંસક રીતે તેનામાંથી નીકળી ગયો. છોકરો મૂએલાં જેવો થઈને ત્યાં પડી રહ્યો, લોકોએ કહ્યું કે તે "મરી ગયો છે." 27 પરંતુ ઈસુએ હાથ પકડીને તેને પગ પર ઊભો કયોઁ અને તે ઊભો થયો.

28 ઈસુ ઘરમાં ગયા પછી, તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછયું, "અમે તેને કેમ કાઢી ન શક્યાં?"

29 ઈસુએ કહ્યું, "આ જાત પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી નીકળી શકે એમ નથી."

ઈસુ પોતાના મરણની બીજી આગાહી કરે છે

30 તેઓ ત્યાંથી નીકળીને ગાલીલમાં થઈને ગયાં. અને કોઈ ન જાણે એવી તેમની ઈચ્છા હતી. 31 કેમકે તેઓ પોતાના શિષ્યોને શીખવતા હતાં. તેમણે તેમને કહ્યું, "માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે, ને તેઓ તેમને મારી નાંખશે અને ત્રણ દિવસ પછી તે સજીવન થશે." 32 પણ તેઓ શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યા નહિ અને તેમને તે સંબંધી પૂછતાં તેઓ ગભરાતાં હતા.

33 તેઓ કપરનાહૂમ આવ્યા; ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછયું, "માર્ગમાં તમે શી ચર્ચા કરતા હતા?" 34 પણ તેઓ ચૂપ રહ્યા કારણ રસ્તામાં તેઓમાં સૌથી મોટું કોણ છે એ વિશે તેઓ વાદવિવાદ કરતા હતા.

35 બેસીને, ઈસુએ બારેને બોલાવીને કહ્યું, "જે કોઈ પ્રથમ થવા ચાહે તો તેણે સૌથી છેલ્લો થવું, અને બધાનો સેવક થવું જોઈએ."

36 પછી તેમણે એક નાનાં બાળકને લઈને વચમાં ઊભુ રાખ્યું. બાળકને ખોળામાં લઈને કહ્યું કે, 37 "મારે નામે આવા નાનાં બાળકોમાંનાં એકનો જે આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, અને જે મારો આવકાર કરે છે, તે મારો નહિ પણ મને મોકલનારનો પણ આવકાર કરે છે."

જે કોઈ આપણી વિરુધ્ધ નથી તે આપણા પક્ષનો છે

38 યોહાને કહ્યું, "ગુરુજી, અમે તમારાં નામે કોઈ એક માણસને અશુધ્ધ આત્મા કાઢતો જોયો, અને અમે તેને મના કરી કારણ કે તે આપણામાંનો એક નથી."

39 ઈસુએ કહ્યું, "તેને મના ન કરો!" કારણ કે મારે નામે ચમત્કાર કરનાર બીજી જ પળે મારું ભૂંડુ બોલનાર હોઈ શકે નહિ. 40 જે કોઈ આપણી વિરુધ્ધ નથી તે આપણા પક્ષનો છે. 41 હું તમને સાચે જ કહું છું કે, તમે મસીહના છો તેને લીધે જો કોઈ તમને પ્યાલો પાણી પાશે તો તે બદલો પામ્યાં વિના રહેશે નહિ.

42 "મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે. 43 જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાંખ, બે હાથ સાથે કદી ન બુઝાય એવા નરકાગ્નિમાં જવું, 44 તેનાં કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પ્રવેશ કરવો તે સારું છે. 45 અને જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાંખ, બે પગ લઈ નરકમાં જવા કરતાં 46 અપંગ થઈને જીવનમાં પ્રવેશ કરવો એ સારું છે. 47 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢી નાંખ! બે આંખો સાથે નરકમાં નંખાવવા કરતાં કાણો થઈને ઇશ્વરના રાજયમાં પ્રવેશવું એ સારું છે. 48 જયાં

" ‘તેમને ખાઈ જનાર કીડો કદી મરતો નથી,

અને અગ્નિ કદી બુઝાતો નથી.’

49 સર્વને અગ્નિથી સલૂણું કરાશે.

50 "મીઠું તો સારું છે પણ તે તેને ખારાશ ગુમાવી દે તો તે શાથી ખારું કરી શકાશે? તમારાં પોતામાં મીઠું રાખો, અને એકબીજા સાથે શાંતિમાં રહો."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-