Publicidade

Marcos 10

છૂટાછેડા

1 ત્યાર બાદ ઈસુએ સ્થાન છોડી ને યર્દન નદી પાર કરીને યહૂદિયાનાં પ્રદેશમાં ગયા. ફરીથી લોકોનું ટોળું તેમની પાસે આવ્યું, અને તેમણે પોતાની રીત પ્રમાણે તેઓને શિક્ષણ આપ્યું.

2 કેટલાક ફરોશીઓએ આવીને તેમનું પરીક્ષા કરતા પૂછયું, "શું પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે તે યોગ્ય છે?"

3 ઈસુએ કહ્યું, "મોશેએ તે સંબંધી શી આજ્ઞા આપી છે?"

4 તેઓએ કહ્યું, "છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપીને પુરુષ પોતાની પત્નીથી છૂટાં થવાની મોશેએ છૂટ આપી છે."

5 ઈસુએ જવાબ આપ્યો કે, "તમારાંં હૃદયોની કઠણતાને લીધે મોશેએ આ નિયમ લખી આપ્યો હતો. 6 પણ સૃષ્ટિના આરંભથી ઇશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી તરીકે ઉત્પન્ન કર્યાં. 7 એ કારણથી પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીને વળગી રહેશે. 8 અને બન્ને એક દેહ થશે. હવે પછી તેઓ બે નથી, પણ એક દેહ છે. 9 માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."

10 જયારે ફરી તેઓ ઘરમાં હતા, ત્યારે શિષ્યોએ ફરીથી એ જ બાબત વિશે તેમને પૂછયું. 11 તેમણે જવાબ આપ્યો, "જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રીને પરણે છે તે વ્યભિચાર કરે છે; 12 અને જો કોઈ તે પોતાના પતિને છૂટાછેડા આપીને બીજા પુરુષને પરણે, તો તે વ્યભિચાર કરે છે."

નાના બાળકો અને ઈસુ

13 લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યાં કે જેથી તેઓ તેમના પર હાથ મુકે, પણ શિષ્યોએ તેમને ધમકાવ્યા. 14 જયારે ઈસુએ આ જોયું ત્યારે તેઓ નારાજ થયા, તેમણે તેમને કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને રોકશો નહિ, કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 15 હું સાચે જ કહું છું કે; જે કોઈ નાના બાળક સમાન બની ઈશ્વરનું રાજય સ્વીકારશે નહિ, તે કદી તેમાં પ્રવેશી શકશે નહિ." 16 પછી તેમણે બાળકોને ઊંચકી લીધા, તેઓના પર હાથ મૂકીને તેમને આશીર્વાદ આપ્યો.

ધનવાન અને ઈશ્વરનું રાજય

17 ઈસુ જ્યારે રસ્તે જવા લાગ્યા, ત્યારે એક માણસ દોડી આવીને તેમને પગે પડીને કહ્યું, "ઉત્તમ ગુરુજી, અનંતજીવન પામવાં માટે મારે શું કરવું જોઈએ?"

18 ઈસુએ જવાબ આપ્યો, "તું મને ઉત્તમ કેમ કહે છે? ઈશ્વર સિવાય કોઇ ઉત્તમ નથી. 19 તું આજ્ઞાઓ જાણે છે: તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, તું ઠગાઈ ન કર, તારા માતા અને પિતાનું સન્માન કર."

20 તેણે કહ્યું, "ગુરુજી, આ બધી વાતો હું બાળપણથી પાળતો આવ્યો છું."

21 તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઉપજ્યો. તેમણે કહ્યું, "તારામાં એક બાબત ખૂટે છે, તારી પાસે જે છે તે વેચીને ગરીબોને આપી દે અને સ્વર્ગમાં તને સંપતિ મળશે; પછી આવ ને મારી પાછળ ચાલ."

22 પણ તેથી તે માણસનું મોં પડી ગયું, તે ઉદાસ થઈને ચાલ્યો ગયો, કારણ તેની પાસે પુષ્કળ સંપત્તિ હતી.

23 ઈસુએ આસપાસ જોઈને તેમના શિષ્યોને કહ્યું, "ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે!"

24 શિષ્યો તેમના શબ્દોથી આવાક બની ગયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, "બાળકો, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે! 25 ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે."

26 શિષ્યો વધુ આશ્ચર્ય પામ્યા, અને એકબીજાને પૂછવાં લાગ્યા, "તો કોણ તારણ પામી શકે?"

27 ઈસુએ તેઓ તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, "માણસને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નહિ, ઈશ્વરને સર્વ શકય છે."

28 ત્યારે પિતર બોલી ઊઠ્યો, "અમે તો બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ,"

29 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે, જે કોઈએ મારે માટે અને સુસમાચારને માટે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરોનો ત્યાગ કયોઁ હશે, 30 તે આ યુગમાં સો ગણાં ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરોને સતાવણી સુધ્ધાં તથા આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. 31 પરંતુ ઘણાં જેઓ પહેલાં તેઓ છેલ્લા, અને જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે."

ઈસુ તેમના મરણની ત્રીજી આગાહી કરે છે

32 તેઓ યરુશાલેમ તરફ જઈ રહ્યા હતા; ઈસુ આગળ ચાલતાં હતા, શિષ્યો અચંબો પામ્યા ને પાછળ ચાલનારાં ગભરાયા, ફરીથી બારેને એક બાજુમાં લઈ જઈ પોતાનાં ઉપર જે જે વીતવાનું હતું તે વિશે ફરી કહ્યું. 33 તેમણે કહ્યું, "આપણે યરુશાલેમ જઈએ છીએ, ત્યારે માણસના દીકરાને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોને સોંપવામાં આવશે; તેઓ મૃત્યુદંડ ફરમાવી, તેને વિદેશીઓને સોંપશે. 34 તેઓ તેની મશ્કરી કરશે ને તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને તેને મારી નાખશે. ત્રણ દિવસ પછી તે સજીવન થશે."

યાકૂબ અને યોહાનની વિનંતી

35 પછી ઝબદીના દીકરા, યાકોબે અને યોહાને તેમની પાસે આવીને તેઓએ કહ્યું, "ગુરુજી, અમે જે કાંઈ માંગીએ તે તમે અમારે માટે કરો?"

36 તેમણે પૂછયું, "હું તમારા માટે શું કરું?"

37 તેઓએ જવાબ આપ્યો કે, "તમારા મહિમામાં અમારામાંનાં એકને તમારી જમણે અને બીજાને ડાબે બેસાડજો."

38 ઈસુએ કહ્યું, "તમે જે માંગો છો તે તમે સમજતા નથી, હું જે પ્યાલો પીઉં છું તે શું તમે પી શકશો? અથવા જે બાપ્તિસ્મા હું લઉં છું, શું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?"

39 તેઓએ જવાબ આપ્યો, "અમે પી શકીશું."

ઈસુએ તેઓને કહ્યું, "જે પ્યાલો હું પીઉં છું, તે તમે પીશો, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે તમે લેશો 40 પરંતુ મારે ડાબે કે જમણે બેસાડવાનું મારા હાથમાં નથી, એ સ્થાન અગાઉથી મુકરર થયેલા માટે જ છે."

41 જયારે દશ એ આ વિશે સાંભળ્યું, ત્યારે તેઓ યાકોબ અને યોહાન પર નાખુશ થયાં. 42 ઈસુએ તેઓ બધાને પાસે બોલાવીને કહ્યું, "તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ ધણીપણું કરે છે અને તેઓના મોટા અધિકારીઓ તેમના પર અધિકાર ચલાવે છે, 43 તમારાંમાં એમ નથી, તેના કરતાં તમારાંમાં જે કોઈ મોટો થવા ઈચ્છે તો તેણે સેવક થવું જોઈએ. 44 અને જે કોઈ પ્રથમ થવાં ચાહે, તેણે સર્વનાં ગુલામ થવું. 45 જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા, અને ઘણાંને માટે મુકિતમૂલ્ય તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે."

અંધ બાર્તિમાયને દ્રષ્ટિદાન

46 પછી તેઓ યરીખો આવ્યા. ત્યાંથી ઈસુ, તેમના શિષ્યો, મોટું ટોળાની સાથે શહેરની બહાર જતા હતા, ત્યારે રસ્તાની બાજુએ તિમાયનો દીકરો બાર્તિમાય નામે અંધ ભિખારી બેઠો હતો. 47 જયારે તેણે સાંભળ્યું કે તે નાઝરેથના ઈસુ છે, ત્યારે તે બૂમ પાડવા લાગ્યો, "ઓ ઈસુ! દાવિદના દીકરા મારા પર દયા કરો!"

48 કેટલાક લોકોએ તેને ધમકાવ્યો ને કહ્યું કે, છાનો રહે, પરંતુ તે વધારે જોરથી બૂમ પાડવાં લાગ્યો, "ઓ દાવિદના દીકરા મારા પર દયા કરો!"

49 ઈસુએ ઊભા રહીને કહ્યું, "એને બોલાવો!"

લોકોએ તે અંધજનને બોલાવ્યો, "ખુશ થા, ચાલ! તે તને બોલાવે છે." 50 તેણે પોતાનું ઝભ્ભો બાજુમાં ફેંકી દઈ તે કૂદીને પોતાના પગ પર ઊભો થયો અને ઈસુની પાસે આવ્યો.

51 ઈસુએ તેને કહ્યું, "તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું?"

તેણે કહ્યું, "રાબ્બી, હું જોવા માંગુ છું!"

52 ઈસુએ કહ્યું, "જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે." તરત જ તે માણસ જોવા લાગ્યો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-