1 તે દિવસોમાં બીજી એક વિશાળ મેદની જમા થઈ હતી. તેઓની પાસે કાંઈ પણ ખાવાનું ન હતું, ત્યારે ઈસુએ તેમનાં શિષ્યોને બોલાવીને કહ્યું, 2 "આ લોકો પર મને દયા આવે છે; ત્રણ દિવસથી તેઓ મારી સાથે છે, અને તેમની પાસે ખાવા માટે કંઈ નથી; 3 જો હું તેઓને ભૂખ્યાં ઘરે વિદાય કરું, તો તેઓ માર્ગમાં જ નિર્ગત થઈ જશે; કેમકે તેઓમાનાં કેટલાક ઘણે દૂરથી આવ્યા છે."
4 તેમનાં શિષ્યોએ જવાબ આપ્યો, "આ ઉજ્જડ સ્થળે એટલી બધી રોટલી કયાંથી મળશે કે તેમને ખવડાવી શકીએ?"
5 ઈસુએ પૂછયું, "તમારી પાસે કેટલી રોટલી છે?"
તેઓએ જવાબ આપ્યો, "સાત."
6 તેમણે ટોળાને જમીન પર બેસી જવા કહ્યું; પછી તેમણે સાત રોટલી લીધી ને ઈશ્વરનો આભાર માન્યો, અને તે ભાંગીને અને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી, અને તેઓએ પીરસી. 7 તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી, ઈસુએ તેના પર આશીર્વાદ માગીને લોકોને પીરસવાં શિષ્યોને આપી. 8 લોકો ખાઈને ઘરાયા. ત્યાર બાદ વધેલાં ટુકડાઓથી સાત ભરેલી ટોપલીઓ શિષ્યોએ ઉઠાવી. 9 આશરે ચાર હજાર લોકો ત્યાં હાજર હતા, પછી તેમણે તેઓને વિદાય કર્યા. 10 તેઓ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલ્મનૂથાના પ્રદેશમાં ગયા.
11 ફરોશીઓ આવ્યા ને ઈસુને પ્રશ્ન કરવા લાગ્યા. તેમની કસોટી કરતાં, તેમણે તેમની પાસે આકાશમાંથી નિશાની માંગી. 12 આ સાંભળીને ઈસુએ ઊંડો નિસાસો નાખીને કહ્યું, "આ પેઢી નિશાની કેમ માગે છે? હું સાચે જ કહું છું કે, તેમને કોઈ નિશાની અપાશે નહિ." 13 તેઓને ત્યાં જ રહેવા દઈને તે પાછાં હોડીમાં બેસીને સરોવરને પેલે પાર જવાં નીકળ્યાં.
14 શિષ્યો રોટલી લાવવાનું ભૂલી ગયા હતા, અને હોડીમાં તેઓની પાસે એક જ રોટલી હતી. 15 ઈસુએ તેઓને ચેતવણી આપતાં કહ્યું, "ફરોશીઓના અને હેરોદનાં ખમીરથી સાવધ રહો."
16 તેઓ માંહોમાંહે ચચાઁ કરવાં લાગ્યા ને કહ્યું, "કેમકે આપણી પાસે રોટલી નથી."
17 ઈસુ તેઓની ચર્ચા સમજી ગયા અને કહ્યું, "તમારી પાસે રોટલી નથી માટે તમે કેમ વાતો કરો છો? શું તમે હજી સુધી જોતાં કે સમજતા નથી? શું તમારાંં હૃદયો કઠણ થયાં છે 18 તમારી આંખો છતાં જોઈ શકતા નથી, કાન છતાં શું સાંભળી શકતા નથી? ને શું તમે યાદ નથી રાખતા? 19 જયારે મે પાંચ હજાર સારું પાંચ રોટલી ભાંગી ત્યારે તમે કકડાઓ ની ભરેલી કેટલી ટોપલીઓ ઊઠાવી?"
તેઓએ જવાબ આપ્યો, "બાર,"
20 "અને જયારે મે ચાર હજારને માટે સાત રોટલી ભાંગી, ત્યારે કકડાથી ભરેલી કેટલી ટોપલીઓ ઊઠાવી?"
તેઓએ જવાબ આપ્યો, "સાત."
21 ત્યારે તેમણે તેઓને કહ્યું, "શું તમે હજી સુધી નથી સમજતા?"
22 પછી તેઓ બેથસૈદા આવ્યા, ને કેટલાક લોકો એક અંધજનને ઈસુ પાસે લાવ્યાં અને ઈસુને વિનંતી કરી કે તે તેને સ્પર્શ કરે. 23 ઈસુ તેના હાથ પકડીને તેને ગામ બહાર લઈ ગયાં. તે તેની આંખો પર થૂંકીને પોતાના હાથ તેના પર મૂક્યાં, ઈસુએ પૂછયું, "શું તું કાંઈ જોઈ શકે છે?"
24 તેણે ઊંચું જોઈને કહ્યું, "હા, હું માણસોને જોઉં છું, તેઓ ચાલતાં વૃક્ષ જેવા દેખાય છે."
25 ઈસુએ ફરીથી તે માણસની આંખો પર હાથ મૂક્યાં, ત્યારે તેની આંખો ઊઘડી ગઈ, તેની દ્રષ્ટી પાછી મળી, અને તે બધું સ્પષ્ટ જોવા લાગ્યો. 26 ઈસુએ તેને ઘરે મોકલતા કહ્યું, "ગામમાં પણ જઈશ નહિ."
27 ઈસુ અને તેમના શિષ્યો કૈસરીયા ફિલિપ્પીનાં ગામોમાં ગયા, માર્ગમાં તેમણે તેમને પૂછયું, "હું કોણ છું એ વિશે લોકો શું કહે છે?"
28 તેઓએ ઉત્તર આપ્યો, "કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્ત; બીજાઓ કહે છે એલિયા; અને કોઇક કહે છે પ્રબોધકોમાંના એક છો."
29 પછી તેમણે પૂછયું, "હું કોણ છું તે વિશે તમે શું માનો છો?"
પિતરે ઉત્તર આપ્યો, "તમે મસીહ છો."
30 ઈસુએ તેઓને આ આજ્ઞા આપી કે, માર વિશે તમારે કોઈને કહેવું નહિ.
31 પછી તેમણે તેઓને શીખવવા લાગ્યા કે માણસનો દીકરો પુષ્કળ દુઃખ સહન કરશે અને વડીલો, મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો તેનો નકાર કરશે, પછી તે મારી નંખાશે અને ત્રણ દિવસ પછી સજીવન થશે, એ જરૂરનું છે. 32 ઈસુએ આ બધું તે ઉઘાડી રીતે કહ્યું, અને પિતર તેમને બાજુ પર લઈ જઈને ઠપકો આપવાં લાગ્યો.
33 ઈસુએ પાછળ ફરીને તેમના શિષ્યોની સામે જોયું અને પિતરને ધમકાવ્યો, "અરે શેતાન, મારી પછવાડે જા! તું ઈશ્વરની વાતો પર નહિ પણ માણસોની વાતો પર મન લગાડે છે."
34 પછી તેમણે શિષ્યોની સાથે ટોળાને બોલાવીને કહ્યું, "જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35 જે કોઈ પોતાનો જીવ બચાવવાં ચાહે છે તે તેને ગુમાવી દેશે, પરંતુ જે કોઈ મારે લીધે અને સુસમાચારને લીધે જે પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે. 36 કોઈ આખું જગત મેળવે અને પોતાનો આત્મા ગુમાવે તો તેથી તેને શો લાભ? 37 અથવા કોઈ પોતાના આત્માને બદલે શું આપશે? 38 જો કોઈ મારે લીધે અને વચનને લીધે આ વ્યભિચારી અને પાપી પેઢીમાં શરમાશે, તો તેને લીધે માણસનો દીકરો પણ પોતાના પિતાનાં મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે શરમાશે."