1 ઈસુ ફરી એક વાર સભાસ્થાનમાં ગયા, ત્યાં સુકાઈ ગયેલાં હાથવાળો એક માણસ હતો. 2 કેટલાક ઈસુ પર આરોપ મૂકવાનું કારણ શોધી રહ્યા હતા, તેથી તેઓ વિશ્રામવારે તેને સાજો કરશે કે કેમ તે જોવા માટે તેઓએ તેની પર નજીકથી નજર રાખી કે તેઓ તેમના પર દોષ મૂકે. 3 ઈસુએ સુકાઈ ગયેલાં હાથવાળા માણસને કહ્યું, "બધાની સમક્ષ ઊભો રહે!"
4 પછી તેમણે તેઓ તરફ ફરીને કહ્યું, "નિયમ પ્રમાણે વિશ્રામવારે ભલાં કામ કરવા કે નુકશાનકારક? એ દિવસે જીવને બચાવવો કે મારવો?" પણ તેઓ ચૂપ રહ્યા.
5 તેઓના હૃદયની કઠણતાને લીધે દુઃખી થઈને તેમણે ગુસ્સાભરી નજરે ચોતરફ જોયું અને તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર." તેણે હાથ લાંબો કયોઁ અને તેનો હાથ સંપૂણઁ સાજો થઈ ગયો. 6 ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયાં અને તરત જ હેરોદીઓને મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું વિચારવાં લાગ્યા.
7 ઈસુ અને તેમના શિષ્યો સરોવરે ગયા, અને ઘણું મોટું ટોળું ગાલીલથી તેમની પાછળ ગયું, 8 યહૂદિયાથી, યરુશાલેમથી, અદુમથી, યર્દન નદી પારનાં પ્રદેશોમાંથી અને છેક તૂર તથા સિદોન ની આસપાસના ઘણા લોકો તેણે જે કામો કયાઁ તે સાંભળીને તેની પાસે આવ્યા. 9 લોકોનાં ટોળાનાં ધસારાથી બચવા ઈસુએ શિષ્યોને હોડી તૈયાર રાખવા જણાવ્યું. 10 કેમકે ઈસુએ ઘણાં લોકોને સાજા કર્યાં હતાં, પરિણામે સંખ્યાબંધ બીમાર લોકો તેમને સ્પર્શ કરવા પડાપડી કરતાં હતા. 11 અશુધ્ધ આત્મા વળગેલાં માણસો ઈસુને જોતાં જ તેમની આગળ પડી જતાં અને પોકારી ઊઠયા કે, "તમે ઈશ્વરપુત્ર છો!" 12 ઈસુએ તેઓને તાકીદ આપી કે, "હું કોણ છું તે તમારે પ્રગટ કરવું નહિ."
13 ઈસુ પહાડ પર ગયા, અને જેઓને તેણે પસંદ કયાઁ તેઓને તેણે બોલાવ્યાં, અને તેઓ ઈસુની પાસે ગયાં. 14 ઈસુએ બારની નિમણૂંક કરીને તેઓ તેમને બહાર મોકલે કે તેઓ ઉપદેશ કરે 15 અને તેઓ અશુધ્ધ આત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પામે.
16 બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે:
સિમોન (ઈસુએ તેનું બીજું નામ પિતર રાખ્યું),
17 ઝબદીનો દીકરો યાકોબને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે "ગર્જનાના પુત્રો" કહ્યાં),
18 આન્દ્રિયા,
ફિલિપ,
બર્થોલ્મી,
માથ્થી,
થોમાસ
અલ્ફીનો દીકરો યાકોબ,
થદીયુસ,
સિમોન કનાની,
19 તેમને દગો દેનાર યહૂદા ઈશ્કારિએત.
20 પછી ઈસુ એક ઘરમાં ગયા, ખબર પડતાં જ લોકોનાં ટોળાં ફરીથી એકત્ર થવા લાગ્યાં અને થોડા જ સમયમાં ઘર એટલું બધું ભરાઈ ગયું કે તેઓ જમી પણ ન શકયા. 21 તેમના સગાં વહાલાંએ આ જોયું ત્યારે તેઓ ઈસુને પોતાને ઘરે લઈ જવા આવ્યા, કેમકે તેઓએ કહ્યું કે તે ઘેલો છે.
22 યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ કહ્યું, સાચી વાત એ છે કે તેનામાં ભૂતોનો સરદાર બાલઝબૂલ છે, ભૂતોના સરદારની મદદથી તે અશુધ્ધ આત્માઓને કાઢે છે.
23 ઈસુએ તેઓને બોલાવ્યાં અને દ્રષ્ટાંતો દ્રારા સમજાવતા કહ્યું, "શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે? 24 કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે. 25 જે ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ. 26 અને જો શેતાન પોતાની વિરુદ્ધ ફૂટ પાડે તો તે કેવી રીતે ટકી શકે! તેનો અંત જ આવ્યો જાણવો. 27 બળવાન માણસને બાંધ્યા વગર કોઈ તેના ઘરમાં પ્રવેશી ન શકે. બળવાન માણસને એ બાંધ્યા પછી તે તેનું ઘર લુંટી શકે છે. 28 હું તમને ખચીત કહું છું કે: માણસનું કોઈ પણ પાપ અને નિંદા માફ કરી શકાશે; 29 પરંતુ, પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, સાર્વકાલિક દોષ રહે એવું તે પાપ છે."
30 ઈસુએ આ વાતો કહી કારણ કે તેઓ કહેતાં હતા કે તેમને અશુધ્ધ આત્મા વળગેલો છે.
31 ઈસુ ત્યાં હતા ત્યારે તેમની મા અને ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ બહાર ઊભા હતા. તેમને બોલાવવા અંદર માણસ મોકલ્યું. 32 ટોળું તેમની આસપાસ બેઠું હતુ અને તેઓએ તેમને કહ્યું, "તમારાંં મા અને ભાઈઓ બહાર આવ્યા છે અને તમને શોધે છે."
33 તેમણે કહ્યું, "મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?"
34 લોકો તરફ ફરીને જેઓ તેમની આસપાસ બેઠા હતા તેમને કહ્યું, "આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! 35 જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે."