1 જેઓ ગુલામની ઝૂંસરી નીચે છે તેઓએ પોતાના માલિકને પૂરાં માન યોગ્ય ગણવાં, જેથી ઇશ્વરના નામની કે આપણા શિક્ષણની નિંદા ન થાય. 2 જેઓનો માલિક વિશ્વાસી છે તેઓએ એ કારણથી તેને તુચ્છ ન ગણવો જોઈએ, તેના બદલે, તેમની ચાકરી વધું સારી રીતે કરવી જોઈએ, કારણ કે તેમના માલિક તેમને સાથી વિશ્વાસીઓ તરીકે પ્રિય છે અને ગુલામોના કલ્યાણ માટે સમપિઁત છે.
આ બધી બાબતો તેઓને શીખવ અને ઉત્તેજન આપ. 3 જો કોઈ બીજી રીતે શીખવે છે અને આપણા પ્રભુ ઈસુ મસીહના સત્ય વચનોને અને ઇશ્વરીય સાથે સંમત થતો નથી, 4 તેઓ અભિમાની તથા અજ્ઞાન છે. તેઓ વાદવિવાદ અને શબ્દવાદમાં ખોટો રસ ધરાવે છે, તેને લીધે ઈર્ષા, ગુસ્સો, ખોટા આક્ષેપો અને વહેમો ઉત્પન્ન થાય છે 5 અને ભ્રષ્ટ મનવાળા, સત્યથી વંચિત અને ધમઁ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં સતત ઝગડાં થાય છે.
6 પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે. 7 કારણ કે આપણે આ દુનિયામાં કાંઈ જ લાવ્યાં નથી, અને આપણે તેમાંથી કાંઈ પણ લઈ જઈ શકતા પણ નથી. 8 પણ જો આપણી પાસે ખોરાક તથા વસ્ત્રો હોય તો તેમાં આપણે સંતોષ માનવો જોઈએ. 9 પરંતુ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં, અને ઘણી મૂખઁ તથા નાશકારક ઇચ્છાઓમાં ફસાય જાય છે, જે લોકોને વિનાશમાં અને અધોગતિમાં ડૂબાવે છે. 10 કેમકે દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાંક લોકો વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાંએ દુઃખોથી પોતાને વીંધ્યા છે.
11 પણ, હે ઇશ્વરના માણસ, આ બધી બાબતોથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ અને નમ્રતા, એઓનું અનુસરણ કર. 12 વિશ્વાસની સારી લડાઈ લડ. અને અનંતજીવનને પકડી રાખ જેને માટે તને બોલાવવામાં આવ્યો છે, જેના વિશે તેં ઘણા સાક્ષીઓની આગળ કબૂલાત કરી છે. 13 સર્વને જીવન આપનાર ઈશ્વર સમક્ષ તથા પોંતિયુસ પિલાતની આગળ સાક્ષી આપનાર મસીહ ઈસુ સમક્ષ હું તને ફરમાવું છું કે 14 આપણા પ્રભુ ઈસુ મસીહના આવતાં સુધી તું નિષ્કંલક અને દોષરહિત રહીને આજ્ઞા પાળ. 15 કેમકે તે ઈશ્વર પોતાના નક્કી કરેલ સમયે કરશે, જેઓ ધન્ય તથા એકલા સ્વામી છે, જેઓ રાજાઓનાં રાજા અને પ્રભુઓના પ્રભુ છે. 16 તેમને એકલાંને અમરપણું છે અને દિવ્ય પ્રકાશમાં તેઓ રહે છે, જેમને કોઈએ કદી જોયા નથી અને જોઈ શક્તું પણ નથી. તેમને માન, પરાક્રમ તથા સત્તા સદાસર્વકાળ હોજો, આમીન.
17 આ જગતનાં ધનવાન લોકોને તું આજ્ઞા કર કે તેઓ અભિમાન ન કરે અને સંપતિ જે ક્ષણિક છે તે પર આધાર ન રાખે; પરંતુ આપણા સુખની તમામ જરૂરિયાતો જે હંમેશાં પુષ્કળતાથી પૂરી પાડે છે તેવાં જીવતાં ઈશ્વરમાં આશા રાખે 18 તેઓને ભલું કરવા, સારા કાયોઁમાં ધનવાન બનવા, ઉદાર તથા પરોપકારી બનવા આદેશ આપ. 19 આમ કરવાથી તેઓ આવનાર સમય માટે પોતાને સારું પાયારૂપી ખજાનો સંગ્રહ કરશે, જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે જીવનને પકડી લેશે.
20 તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ. જે અધમીઁ વાતો અને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વાદવિવાદથી તું દૂર રહેજે. 21 એવા કેટલાક લોકો એવું કહે છે અને તેમ કરીને વિશ્વાસ છોડી ગયા છે.
તમો સર્વ પર કૃપા રહો.