1 ઈસુ મંદિરમાંથી નીકળીને જતા હતા ત્યારે શિષ્યો તેમને મંદિરનાં બાંધકામ બતાવવા તેમની પાસે આવ્યા. 2 ઈસુએ કહ્યું, "શું તમે આ બધા જુઓ છો, હું તમને સાચે જ કહું છું, એક પણ પથ્થર બીજા ઊપર અહીં રહેવા દેવાશે નહિ; અને દરેક તોડી પાડવામાં આવશે?"
3 જયારે ઈસુ જૈતુન પહાડ પર બેઠાં હતા, ત્યારે એકાંતમાં શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, અમને કહો "એ બધું ક્યારે બનશે, અને તમારાં આગમનની અને આ યુગના અંતની શી નિશાની થશે?"
4 ઈસુએ જવાબ આપ્યો, "કોઈ તમને ન ભરમાવે માટે સાવધ રહો. 5 કેમકે ઘણાં મારે નામે આવશે અને દાવો કરશે કે, ‘હું મસીહ છું,’ અને ઘણાંને ભુલાવશે. 6 તમે યુધ્ધ તથા યુધ્ધોની અફવા સાંભળશો, પણ જો જો ત્યારે ગભરાતાના કેમકે એ બધું બનવાની જરુર છે, પણ અંત આવવાનો હજું બાકી છે. 7 પ્રજા પ્રજાની વિરુધ્ધ ઊઠશે અને રાજ્ય રાજયની વિરુધ્ધ ઊઠશે. દુકાળો પડશે અને ઠેર ઠેર ધરતીકંપ થશે, 8 પણ આ બધું તો જન્મ પીડાનો આરંભ છે.
9 "પછી તમને સતાવવાને હાથમાં સોંપી દેવામાં આવશે અને મારી નાંખશે, અને મારે લીધે બધા દેશોથી તમારો ધિક્કાર થશે. 10 એ સમયે ઘણાં વિશ્વાસમાંથી ફરી જશે, અને પકડાવી દેશે અને એકબીજાનો દ્વેષ કરશે. 11 વળી ઘણા જૂઠા પ્રબોધકો દેખાશે અને ઘણાં લોકોને ભરમાવશે. 12 દુષ્ટતા વધી જવાને કારણે ઘણાંનો પ્રેમ ઠંડો થઈ જશે. 13 પણ જે અંત સુધી ટકી રહેશે, તે જ તારણ પામશે. 14 અને રાજ્યનાં આ સુસમાચાર સાક્ષી તરીકે આખા જગતમાં સર્વ પ્રજાઓને પ્રગટ કરવામાં આવશે, અને પછી અંત આવશે.
15 "જેનાં વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે તે ધિક્કારપાત્ર વસ્તુને પવિત્રસ્થાનમાં ઊભેલી તમે જુઓ, (વાંચકે તેનો અર્થ સમજી લેવો.) 16 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું, 17 જેઓ ધાબા ઉપર હોય, તેઓએ કંઈ પણ લેવાં નીચે ઘરમાં જવું નહિ. 18 જેઓ, ખેતરમાં હો તો ઝભ્ભો લેવાં ઘરે પાછાં ન જાઓ. 19 એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધવડાવતી માતાઓને માટે કેટલું ભયાનક હશે. 20 પ્રાર્થના કરો કે એ શિયાળામાં અથવા વિશ્રામવારે નાસવું ન પડે. 21 કેમકે જગતના આરંભથી તે અત્યાર સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ, એવી ભયંકર વિપત્તિ આવી પડશે.
22 "જો એ દિવસો ઓછાં કરાયાં ન હોત, તો કોઈ ન બચી શકત, પરંતુ પસંદ કરેલાં લોકોને લીધે એ દિવસો ઘટાડવામાં આવશે. 23 એ સમયે તમને કોઈ કહે, ‘જુઓ, અહીં મસીહ છે,’ અથવા જુઓ, ‘તે ત્યાં છે,’ તો માનશો નહિ, 24 કેમકે જૂઠા મસીહ અને જૂઠા પ્રબોધકો દેખા દેશે, અને મહાન ચિન્હો અને અદભુત ચમત્કારો કરી બતાવશે, જો બની શકે તો પસંદ કરેલાંને પણ ભરમાવશે. 25 જુઓ, મે તમને સમય અગાઉ કહ્યું છે.
26 "તેથી જો કોઈ તમને કહે, ‘તે ત્યાં છે, બહાર રાનમાં’ તો બહાર જશો નહિ; અથવા તે અહીં છે, ‘અંદરની ઓરડીમાં’ તો તે ન માનશો." 27 કેમકે જેમ વીજળી પૂર્વથી આવી પશ્ચિમ સુધી ચમકે છે, એ જ પ્રમાણે માણસના દીકરાનું આગમન થશે. 28 જયાં મુડદું છે, ત્યાં ગીધો એકઠા થશે.
29 "એ દિવસોની વિપત્તિ પછી તરત જ
" ‘સૂરજ અંધકારમય થઈ જશે,
અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ;
તારાઓ આકાશમાંથી ખરશે.
આકાશી મંડળો હલાવાશે.’
30 "જયારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, અને પૃથ્વી પરના સધળાં લોકો શોક કરશે. ત્યારે માણસના દીકરાને સામર્થ્ય અને મહિમાસહિત તેઓ આકાશના વાદળો પર આવતા નિહાળશો. 31 રણશિંગડાનાં મોટાં અવાજ સાથે તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.
32 "હવે અંજીર પરથી આ બોધપાઠ શીખો: જયારે તેની ડાળી કુમળી હોય અને તેને પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે જાણો કે ઉનાળો પાસે છે. 33 તે જ પ્રમાણે, જયારે તમે આ બધા જુઓ, ત્યારે તમારે જાણો કે તે નજીક છે; છેક બારણાં પાસે જ છે. 34 હું તમને સાચે જ કહું છું, આ બધા પુરા નહિ થાય ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ. 35 આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારાંં વચનો કયારેય જતાં રહેશે નહિ.
36 "પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશમાં દૂતો પણ નહિ કે દીકરો પણ નહિ; પણ કેવળ પિતા જ. 37 જેમ નૂહનાં દિવસોમાં હતું એવું જ માણસના દીકરાના આગમન સમયે થશે: 38 કેમકે જળપ્રલય પહેલાના દિવસોમાં, નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતાં અને પીતાં, પરણતા અને પરણાવતાં હતાં. 39 જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી શું થશે તેની તેઓને કંઈ ખબર ન પડી, માણસના દીકરાનું આગમન એવું જ થશે. 40 ખેતરમાં બે માણસો હશે; એક લેવાશે અને બીજો પડતો મૂકાશે. 41 બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે; એક લેવાશે અને બીજી પડતી મૂકાશે.
42 "માટે જાગતાં રહો, કેમકે તમારાં પ્રભુ ક્યાં દિવસે આવવાના છે તે તમે જાણતા નથી. 43 પણ આ સમજો, રાત્રીના કયાં સમયે ચોર આવવાનો છે એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહીને ઘરમાં ચોરી થવા ન દેત. 44 તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.
45 "તો તે વિશ્વાસુ અને બુધ્ધિમાન નોકર કોણ છે, જેને માલિકે પોતાના ઘરનાં નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવાં માટે કારભારી ઠરાવ્યો છે? 46 જેનો માલિક પાછો આવે ત્યારે, જે નોકરને એમ કરતા જોશે તેને માટે સારું છે. 47 હું તમને સાચે જ કહું છું, તે તેને પોતાની બધી મિલ્કતનો કારભારી બનાવશે. 48 પણ ધારોકે જો તે નોકર દુષ્ટ છે અને પોતાના મનમાં કહે: ‘મારો માલિક લાંબા સમયથી દૂર રહે છે’ 49 અને પછી તે તેના સાથી નોકરોને મારવા લાગે છે અને દારૂડિયાઓની સાથે ખાવાં પીવાં લાગે. 50 નોકરનો માલિક એવા દિવસે આવશે જયારે તે ધારતો નહિ હોય અને તે ઘડી તે જાણતો નથી. 51 તે તેને કાપી નાંખશે ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, જયાં રડવું અને દાંત પીસવું થશે.