1 પછી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો યરુશાલેમથી ઈસુની પાસે આવીને પૂછયું, 2 "તમારાં શિષ્યો વડીલોની રીતરિવાજોનો ભંગ કેમ કરે છે? તેઓ જમ્યાં પહેલાં પોતાના હાથ ધોતાં નથી!"
3 ઈસુએ જવાબ આપ્યો, "પણ તમારી રીતરિવાજોને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કેમ કરો છો? 4 કેમકે ઈશ્વરે કહ્યું છે કે ‘તારાં માતાપિતાને સન્માન કર’ અને જે કોઈ પોતાનાં માતાપિતાને શાપ દે, તે માર્યો જાય. 5 પરંતુ જો કોઈ પોતાના માતાપિતાને કહે, ‘મારાંથી તમને જે કાંઈ મદદ કરાય તે બધું મેં ઈશ્વરને અર્પી દીધું છે.’ 6 તેનાથી તેઓ પોતાના માતાપિતાને સન્માન ન આપે, એમ તમે તમારા રીતરિવાજોથી ઈશ્વરના વચનને રદ કરો છો. 7 ઓ ઢોંગીઓ! યશાયાએ તમારાં વિષે સાચું જ કહ્યું છે:
8 " ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પણ તેઓનાં હૃદય મારાંથી દૂર છે.
9 તેઓ મારી વ્યથઁ ભકિત કરે છે.
તેઓનું શિક્ષણ માત્ર માણસના નિયમ પૂરતું છે.’ "
10 ઈસુએ ટોળાને તેમની પાસે બોલાવીને કહ્યું, "સાંભળો અને સમજો: 11 કોઇનાં મોંમા જે જાય છે તે તેમને અશુધ્ધ કરતું નથી, પણ તેમના મુખમાંથી જે નીકળે છે તે જ તેમને અશુધ્ધ બનાવે છે."
12 ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "આ વાત સાંભળીને ફરોશીઓ ઠોકર ખાધી, એ શું તમે જાણો છો?"
13 તેમણે જવાબ આપ્યો, "મારા સ્વગીઁય પિતાએ જે છોડ રોપ્યાં નહિ હોય, એવા દરેકને મૂળમાંથી ઉખેડી નાંખવામાં આવશે. 14 તેઓને રહેવા દો. તેઓ અંધને દોરનાર છે અને જો અંધ, અંધને દોરે તો બન્ને ખાડામાં પડશે."
15 પિતરે કહ્યું, "આ દ્રષ્ટાંત અમને સમજાવો."
16 ઈસુએ તેમને કહ્યું, "શું હજુયે તમે અણસમજુ છો? 17 શું તમને ખબર નથી કે જે કંઈ મોંમા જાય છે તે પેટમાં અને પછી તે શરીરની બહાર નીકળી જાય છે! 18 પરંતુ જે બાબતો વ્યકિતના મોંમાથી બહાર આવે છે તે તેના હૃદયમાંથી નીકળે છે, અને આ તેમને અશુધ્ધ કરે છે. 19 ખરાબ વિચારો, ખૂન, વ્યભિચાર, લંપટપણું, ચોરી, જૂઠી સાક્ષી અને નિંદા હૃદયમાંથી બહાર નીકળે છે. 20 વ્યક્તિને જે અશુધ્ધ કરે છે તે એ જ છે, પણ હાથ ધોયાં વિના જમવાંથી તેઓને વટાળતું નથી."
21 એ વિસ્તારમાંથી નીકળીને ઈસુ તૂર અને સિદોન પ્રદેશમાં ગયા. 22 એક કનાની સ્ત્રીએ તેમની પાસે આવીને બૂમ પાડી, "ઓ પ્રભુ! દાવિદનાં દીકરા! મારા પર દયા કરો, મારી દીકરીને અશુધ્ધ આત્મા વળગેલો છે અને તે સખત પીડાય છે."
23 ઈસુએ તેને કશો જ જવાબ આપ્યો નહિ. તેથી તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, "તેને વિદાય કરો, કારણ કે તે આપણી પાછળ બૂમો પાડયા કરે છે."
24 તેમણે જવાબ આપ્યો કે, "ફકત ઇઝરાયેલનાં ખોવાયેલાં ઘેટાં પાસે મને મોકલવામાં આવ્યો છે."
25 તે સ્ત્રીએ આવીને ઈસુને પગે પડીને કહ્યું. "પ્રભુ! મને મદદ કરો!"
26 તેમણે જવાબ આપ્યો, "છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાંખવી એ યોગ્ય નથી!"
27 તેણે કહ્યું, "હા, પ્રભુ, એ તો છે કૂતરાં પણ પોતાના માલીકના ટેબલ પરથી જે ટુકડા પડે છે તે ખાય છે."
28 ત્યારે ઈસુએ તેને કહ્યું, "બાઈ, તારો વિશ્વાસ મોટો છે! તારી માંગણી પૂરી કરવામાં આવે છે." અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.
29 ઈસુ ત્યાંથી નિકળીને ગાલીલના સરોવર પાસે આવ્યા. પછી ત્યાં એક પહાડ પર જઈને બેઠાં. 30 વિશાળ સમુદાયે લંગડા, અંધ, અપંગ, મૂંગા અને બીજા ઘણાં માંદાઓને તેમની પાસે લાવ્યાંને તેમના પગ પાસે મુકયાં, અને તેમણે તેઓને સાજા કર્યા. 31 લોકો અચરત પામ્યા, જયારે તેમણે જોયું કે મૂંગાં બોલે છે, અપંગ સાજાં થયાં છે, લંગડા ચાલે છે, અને અંધજનો દેખતાં થયાં છે અને તેઓએ ઇઝરાયેલનાં ઈશ્વરની સ્તુતિ કરી.
32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, "આ લોકો પર મને દયા આવે છે; તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓની પાસે કંઈ ખાવાનું નથી. હું તેઓને ભૂખ્યાં મોકલવા માંગતો નથી, રખેને તેઓ રસ્તામાં નિર્ગત થઈ જાય."
33 તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "તો આવાં ઉજજડ પ્રદેશમાં આટલા ટોળાને બસ થાય એટલી રોટલી ક્યાંંથી લાવીએ?"
34 ઈસુએ પૂછયું, "તમારી પાસે કેટલી રોટલી છે?"
તેઓએ જવાબ આપ્યો, "સાત, અને થોડી નાની માછલી."
35 તેમણે ટોળાને જમીન પર બેસી જવા કહ્યું. 36 પછી તેમણે સાત રોટલી અને માછલી લઈને ઈશ્વરનો આભાર માન્યો, પછી તેમણે ભાંગીને શિષ્યોને આપી, અને તેઓએ લોકોને પીરસી. 37 અને તેઓ બધા ખાયને ધરાયા. પછી શિષ્યોએ વધેલાં ટુકડાની સાત ભરેલી ટોપલીઓ ઉઠાવી. 38 જેઓએ ખાધું તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષો હતા. 39 અને ઈસુએ ટોળાને વિદાય કર્યા પછી, તેઓ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં ગયા.