1 જયારે ઈસુ આ બધી વાતો કહી રહ્યા પછી, તેઓ ગાલીલથી નીકળીને યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં ગયા. 2 મોટું ટોળું તેમની પાછળ ગયું, અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યાં.
3 કેટલાક ફરોશીઓએ આવીને તેમની પરીક્ષા કરતા પૂછયું, "શું દરેક કારણને લીધે પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે તે શું યોગ્ય છે?"
4 તેમણે જવાબ આપ્યો, "શું તમે નથી વાંચ્યું? કે આરંભથી જ ઉત્પન્ન કરનારે તેમને પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં. 5 અને કહ્યું; આ કારણને લીધે ‘પુરુષ પોતાના માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.’ 6 હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
7 પછી કેમ, તેઓએ પૂછયું, "તો પછી શા માટે મોશેએ એવી આજ્ઞા આપી કે પુરુષે તેની પત્નીને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપીને તેને મુકી દેવી?"
8 ઈસુએ ઉત્તર આપ્યો, "મોશેએ તમારાંં હૃદયોની કઠણતાને કારણે તમને તમારી પત્નીઓને છૂટાછેડા આપવાં પરવાનગી આપી હતી, પણ આરંભથી એવું ન હતું. 9 હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપી દઈને અન્ય સ્ત્રીની સાથે પરણે, તે વ્યભિચાર કરે છે."
10 ત્યારે શિષ્યોએ તેમને કહ્યું, "જો પતિ અને પત્નિમાં આવી સ્થિતી હોય તો પરણવું સારું નથી."
11 ઈસુએ જવાબ આપ્યો, "દરેકથી આ વચન સ્વીકારાતું નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12 કેમકે કેટલાક ખોજા છે જેઓ એવી રીતે જન્મેલાં છે; અને કેટલાક ખોજાઓને બીજાઓએ ખોજા બનાવેલા છે; અને કેટલાક સ્વર્ગના રાજ્યને લીધે ખોજા તરીકે જીવવું પસંદ કરે છે, જે આ સ્વીકારી શકે છે તેણે તે સ્વીકારવું જોઈએ."
13 પછી લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યા કે તેઓ પર તેમના હાથ મૂકીને પ્રાર્થના કરે, પણ શિષ્યોએ તેમને ધમકાવ્યાં.
14 ઈસુએ કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને અટકાવશો નહિ. કેમકે સ્વર્ગનું રાજ્ય એ એવાઓનું જ છે." 15 તેમણે તેમના પર હાથ મૂકયાં, પછી તેઓ ત્યાંથી ગયા.
16 પછી તરત એક માણસે ઈસુની પાસે આવીને પૂછયું, "ગુરુજી, અનંતજીવન પામવાં માટે મારે શું સારું કરવું જોઈએ?"
17 ઈસુએ જવાબ આપ્યો, "શું સારું છે તે વિષે તું મને કેમ પૂછે છે? માત્ર એક જ છે જે સારો છે, જો તું જીવનમાં પ્રવેશ પામવાં માગે છે તો આજ્ઞાઓ પાળ."
18 તેણે પૂછયું, "કઈ?"
ઈસુએ જવાબ આપ્યો, "તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન આપ; 19 તારાં માતાપિતાને માન આપ જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર."
20 જુવાન માણસે કહ્યું, "આ બધું તો હું પાળતો આવ્યો છું; હજું મારામાં શું ખૂટે છે?"
21 ઈસુએ જવાબ આપ્યો, "જો તું સંપૂર્ણ થવા માંગતો હોય, તો જા, ને તારી જે સંપતી છે તે વેચી દે, અને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપતિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ."
22 જ્યારે તે જુવાન માણસે આ સાંભળ્યું, ત્યારે તે ઉદાસ થઈને ચાલ્યો ગયો, કારણ કે તેની પાસે પુષ્કળ સંપતિ હતી.
23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે "ધનવાનને સ્વગઁના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. 24 ફરીથી હું તમને કહું છું કે, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે."
25 જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું તેઓ ખૂબ જ આશ્ચયઁ પામ્યા અને પૂછયું, "તો પછી કોણ તારણ પામી શકે?"
26 ઈસુએ તેઓની સામે જોઈને કહ્યું, "માણસોને તો એ અશક્ય છે. પણ ઈશ્વરને સર્વ શકય છે."
27 પિતરે તેમને જવાબ આપ્યો, "અમે તો બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ. તો અમારે માટે ત્યાં શું હશે?"
28 ઈસુએ તેઓને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, જયારે પુનરુત્પતિમાં માણસનો દીકરો પોતાના ગૌરવી રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે મારી પાછળ આવનારા પણ ઇઝરાયેલનાં બારેય કુળોનો ન્યાય કરતા બાર રાજ્યાસનો પર બેસશો. 29 અને જે કોઈએ પોતાનાં ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે પત્ની કે બાળકો કે ખેતરોને મારા નામને લીધે ત્યાગ કર્યોઁ છે, તેઓને સો ગણું વધુ મળશે, અને અનંતજીવનનો વારસો પામશે. 30 પરંતુ ઘણાં જેઓ પહેલાં તેઓ છેલ્લા, અને જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે.