1 એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, "તો સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?"
2 તેમણે એક નાનાં બાળકને તેમની પાસે બોલાવીને, બાળકને તેઓની વચ્ચે ઊભુ રાખ્યું, 3 અને તેમણે કહ્યું, હું સાચે જ તમને કહું છું "જયાં સુધી તમે નહિ ફરો, અને બાળકોનાં જેવા નહિ બનો, તો તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ. 4 માટે જે કોઈ આ બાળકના જેવું નીચું સ્થાન લેશે તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે; 5 અને જે કોઈ મારે નામે આવાં બાળકનો આવકાર કરે છે, તે મારો આવકાર કરે છે.
6 "મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે. 7 જેનાથી લોકોને ઠોકર વાગે છે તેને લીધે જગતને અફસોસ! એ બાબતો આવવી જ જોઈએ, પણ જે માણસથી તે આવે છે તેને અફસોસ છે! 8 તેથી જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપીને ફેંકી દો. બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં જવા કરતાં અપંગ અથવા ઠુંઠો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે. 9 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢીને ફેંકી દો. બંને આંખો સહિત નરકાગ્નિમાં નંખાય તે કરતાં કાણો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
10 "જુઓ કે તમે આ નાનાંઓમાંના એકની તમે અવગણના ના કરો, કેમકે તેઓના દૂતો સ્વર્ગમાં મારા પિતાનું મુખ સદા જુવે છે. 11 હું મસીહ ખોવાયેલાંને બચાવવાં આવ્યો છું.
12 "જો એક માણસ પાસે સો ઘેંટા હોય અને તેમાંનું એક ભટકી જાય તો એ માણસ શું કરશે? શું તે બાકીનાં નવ્વાણું ઘેંટાંને પહાડ પર ચરતાં મૂકીને શું તે ખોવાયેલાને શોધવાં નહિ જાય? 13 અને જો તેને તે મળી આવે, તો હું તમને સાચે જ તમને કહું છું, કે પેલા નવ્વાણું ભુલા પડેલા ન હતા તેઓના કરતાં તે એક ઘેટાંને લીધે તેને વધારે આનંદ થાય છે. 14 એ જ પ્રમાણે આ નાનાંઓમાંથી એકનો નાશ થાય એવી મારા સ્વગીઁય પિતાની ઈચ્છા નથી.
15 "જો તારો ભાઈ કે બહેન પાપ કરે તો જઈને તેમની ભૂલ બતાવો, તે માત્ર તમારા બે વચ્યે હોય, જો તેઓ તારું સાંભળે તો તેં તેઓ પર વિજય મેળવ્યો છે. 16 પણ જો તેઓ ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લઈ જા, જેથી દરેક બાબત બે કે ત્રણ સાક્ષીઓથી સ્થાપિત થાય. 17 જો તેમ છતાં તેઓ સાંભળવાની ના પાડે તો તે મંડળીને જણાવ; અને જો તેઓ મંડળીનું પણ ન સાંભળે તો, તેમની સાથે વિદેશી કે દાણીના જેઓ વ્યવહાર કરો.
18 "હું તમને સાચે જ કહું છું કે પૃથ્વી પર તમે જે કંઇ બાંધશો તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તમે જે કંઇ મુક્ત કરશો તે સ્વર્ગમાં મુક્ત કરાશે.
19 "વળી હું તમને કહું છું કે: તમારાંમાંના બે પૃથ્વી પર કોઈ બાબત વિષે સહમત થઈને તેઓ કંઇ માંગશે, તો તે મારા સ્વર્ગમાંના પિતા તેમના માટે કરશે. 20 કારણ કે જયાં મારા નામે બે કે ત્રણ એકત્ર થયા હોય, ત્યાં હું તેઓની સાથે છું."
21 પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, "પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?"
22 ઈસુએ જવાબ આપ્યો, "હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.
23 "માટે, સ્વર્ગનું રાજ્ય એક રાજા જેવું છે, કે જેણે પોતાના નોકરો પાસેથી હિસાબ લેવા માગ્યો. 24 હિસાબ લેતાં એક જણને તેની પાસે લાવવામાં આવ્યો, તેને દસ હજાર તાલંત સોનાનું દેવું હતું, 25 તે દેવું ચૂકવી શકે એમ ન હતો, તેથી માલીકે તેને, તેની સ્ત્રીને, તેનાં બાળકોને તથા તેની પાસે જે કાંઈ હતું તે તમામને વેચીને દેવું ભરપાઈ કરવા આજ્ઞા કરી.
26 "એટલે તે નોકર તેમની આગળ ઘૂટણે પડયો, તેણે વિનંતી કરી મારી સાથે ધીરજ રાખો, ‘હું તમામ પાછું આપીશ.’ 27 ત્યારે નોકરના માલીકને તેના પર દયા આવી, દેવું માફ કરી અને તેને જવા દીધો.
28 "પણ જયારે તે નોકર બહાર ગયો, ત્યારે તેણે સાથી નોકરોમાનાં એકને જોયો, જે તેના ચાંદીનાં સો સિક્કાનો દેવાદાર હતો. ‘તેણે તેને પકડી લીધો ને તેને ગૂંગળાવી નાખવા લાગ્યો, તેણે માંગણી કરી કે મારું જે દેવું છે તે પાછું આપ!’
29 "તેનો સાથી નોકર તેના પગે પડયો કરગરવાં લાગ્યો, ‘મારી સાથે ધીરજ રાખો. હું તે વાળી આપીશ.’
30 "પણ તેણે માન્યું નહિ, તેણે જઈને દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તે માણસને જેલમાં નાખ્યો. 31 જયારે બીજા નોકરો જે બન્યું તે જોયું, ત્યારે તેઓ દિલગીર થઇ જઈને જે બન્યું હતું તે પોતાના માલીકને કહ્યું.
32 "ત્યારે માલીકે ચાકરને અંદર બોલાવીને તેણે કહ્યું, ‘અરે દુષ્ટ નોકર! તે મને વિનંતી કરી માટે મેં તારું બધું દેવું માફ કયુઁ. 33 જેમ મેં તારા પ્રત્યે દયા દર્શાવી તેમ તારે પણ તારા સાથી નોકર પ્રત્યે દર્શાવવી જોઈતી નહોતી શું?’ 34 માલીકે ગુસ્સે થઇને બધું દેવું ચૂકવે નહિ ત્યાં સુધી, તેણે તેને જેલમાં પીડા આપનારાઓનાં હાથમાં સોંપ્યો.
35 "એ જ પ્રમાણે તમે તમારાં ભાઈઓ અને બહેનોને ખરાં દિલથી માફ નહિ કરો તો સ્વર્ગમાંના મારા પિતા તમને પણ એમ જ કરશે."