1 "સાવધ રહો! તમને જુએ એ માટે તમારાંં ન્યાયીપણા બીજાઓની આગળ ન કરો. જો તમે એમ કરો તો સ્વર્ગીય પિતા તરફથી તમને કોઈ બદલો મળશે નહિ.
2 "તેથી જયારે તમે કોઈ જરૂરિયાતમંદને આપો, ત્યારે રણશિંગડાથી તેની જાહેરાત ન કરો, જેમ બીજાઓથી માન પામવા દંભીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે. સાચે જ હું તમને કહું છું કે તેઓ પોતાનો પુરો બદલો પામી ચૂકયા છે; 3 પણ જયારે તમે જરૂરિયાતમંદને આપો, ત્યારે તમારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે 4 જેથી તમારાંં દાન ગુપ્તમાં થાય. પછી ગુપ્તમાં જોનાર તમારાં પિતા, તમને બદલો આપશે.
5 "અને જયારે તમે પ્રાર્થના કરો, દંભીઓના જેવા ન થાવ. અન્ય લોકો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાના નાકાંઓ પર ઊભા રહીને પ્રાથઁના કરવાનું તેમને પસંદ છે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂકયા છે. 6 પરંતુ તમે જયારે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને તમારાં પિતાને પ્રાર્થના કરો, જે અદ્રશ્ય છે. ત્યારે તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે. 7 અને જયારે તમે પ્રાર્થના કરો ત્યારે વિધર્મીઓની માફક લવારો ન કરો, કેમકે તેઓ માને છે કે ઘણા શબ્દોથી અમારું સાંભળવામાં આવશે. 8 તેમના જેવા ન થાઓ, કેમકે તમારાં માગ્યા અગાઉ તમારાં પિતા જાણે છે કે તમને શેની જરૂર છે.
9 "તો, પછી, તમારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ:
" ‘સ્વર્ગમાંના અમારા પિતા,
તમારું નામ પવિત્ર મનાઓ.
10 તમારું રાજ્ય આવો,
તમારી ઈચ્છા પૂરી થાઓ,
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર,
11 આજે અમને અમારી રોજની રોટલી આપો.
12 અમારા ૠણ અમને માફ કરો,
જેમ અમે અમારા ૠણીઓને પણ માફ કર્યા છે.
13 અને અમને પરીક્ષણમાં ન લાવો, પરંતુ ભૂંડાઈથી અમારો છુટકો કરો,
કેમકે રાજ્ય, પરાક્રમ, તથા મહિમા સર્વકાળ તમારાંં છે. આમીન.’
14 માટે જો તમે બીજા લોકો તમારી વિરુધ કરેલાં પાપ તેઓને માફ કરશો, તો તમારો સ્વર્ગીય પિતા પણ તમને માફ કરશે. 15 પરંતુ જો તમે બીજાઓને તેમના પાપ માફ નહિ કરો તો તમારા પિતા તમારા પાપ માફ નહિ કરે.
16 "જયારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓના જેવા વિલાય ગયેલાં ચહેરાવાળા ન થાવ, કેમકે તેઓ ઉપવાસ કરે છે તે બતાવવા માટે તેઓ તેમના ચહેરાને બગાડે છે, હું તમને સાચે જ કહું છું કે તેઓને તેમનો પુરો બદલો મળી ચૂકયો છે. 17 પરંતુ જયારે તમે ઉપવાસ કરો ત્યારે તમારા માથા પર તેલ ચોપડો ને તમારું મોં ઘુઓ. 18 એથી તમે ઉપવાસ કર્યા છે એની બીજા કોઈને ખબર પડશે નહિ. માત્ર તમારો પિતા, જે અદ્રશ્ય છે. અને તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે.
19 "પૃથ્વી પર તમારે સારું ધનદોલતનો સંગ્રહ ના કરો, જયાં ઉધઈ અને કાટ નાશ કરે છે, અને જયાં ચોરો તોડીને ચોરી જાય છે 20 પરંતુ તમે પોતાને સારું સ્વર્ગમાં ધનદોલતનો સંગ્રહ કરો, જયાં કીડા અને કાટ નાશ કરતા નથી, અને જયાં ચોરો તોડીને ચોરી જતો નથી 21 કારણ કે જયાં તમારું ધન છે, ત્યાં તમારું ચિત પણ હશે.
22 "શરીરનો દીવો આંખ છે. જો તમારી આંખ નિર્મળ હોય, તો તમારું આખું શરીર પ્રકાશથી ભરપૂર થશે. 23 પણ જો તમારી આંખ નિમઁળ નથી, તો તમારું આખું શરીર ઘોર અંધકારમાં છે. માટે જો તમારામાં જે પ્રકાશ છે તે જો અંધકાર હોય, તો તે અંધકાર કેટલો મોટો હશે!
24 "કોઈ પણ બે માલિકની સેવા કરી શકે નહિ. અથવા તો તમે એકને ધિક્કારશો અને બીજાને પ્રેમ કરશો, અથવા તમે એકને સમપિઁત રહેશો અને બીજાને ધિક્કારશો. તમે ઈશ્વર અને સંપત્તિ બંનેની સેવા કરી શકતા નથી."
25 "તેથી હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો; તમે શું ખાશો ને પીશો; અથવા તમારા શરીર વિષે, તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી? 27 શું તમારામાંથી કોઈ ચિંતા કરીને તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે?
28 "અને તમારાંં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? જુઓ ખેતરમાંના ફૂલો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી. 29 તોપણ હું તમને કહું છું કે સોલોમોન પણ તેના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેઓ પહેરેલો ન હતો. 30 જો ખેતરમાનાં ઘાસને ઈશ્વર એવું પહેરાવે છે જે આજે છે અને આવતીકાલે અગ્નિમાં નંખાશે, શું તમને તેથી વિશેષ નહિ પહેરાવે? ઓ અલ્પવિશ્વાસી? 31 માટે એમ કહેતા ચિંતા ન કરો. અમે શું ખાઈશું, કે અમે શું પીશું, કે અમે શું પહેરીશું 32 કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને સ્વર્ગમાંના તમારાં પિતા જાણે છે કે આ બધાની તમારે જરૂર છે. 33 પણ પ્રથમ તમે તેના રાજ્યને અને તેના ન્યાયીપણાને શોધો, અને આ બધા વાનાં પણ અપાશે. 34 તે માટે આવતીકાલ વિષે ચિંતા ન કરો. આવતીકાલ પોતાના વિષે ચિંતા કરશે. દરેક દિવસની પોતાની પૂરતી મુશ્કેલી હોય છે.