1 છ દિવસ પછી પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને પોતે લઈને ઈસુ તેઓને એક ઊંચા પર્વત પર લઇ ગયા. 2 ત્યાં તેઓની આગળ તેમનું રૂપાંતર થયું. તેમનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશ્યો, અને તેમનાં વસ્ત્રો પ્રકાશ જેવાં ઉજળાં થયાં. 3 એકાએક મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા તેઓને દેખાયા.
4 પિતરે ઈસુને કહ્યું, "પ્રભુ! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે."
5 જયારે હજુ તો તેઓ બોલતા હતા, એટલામાં એક ચળકતાં વાદળે તેઓના પર છાયા કરી. અને વાદળમાંથી વાણી થઇ, "આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું; તેના પર હું પ્રસન્ન છું. તેમનું સાંભળો."
6 જયારે શિષ્યોએ આ સાંભળ્યું, ભયભીત થઈને ઊંધે મોઢે જમીન પર પડયાં. 7 પણ ઈસુએ આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું, "ઊઠો! બીશો નહિ." 8 જયારે તેઓએ ઉપર જોયું, તો કેવળ ઈસુ સિવાય કોઇને જોયા નહિ.
9 જયારે તેઓ પર્વત પરથી નીચે ઊતરતાં હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું, "જયાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી તમે જે જોયું તે તમે કોઇને કહેતા ના."
10 શિષ્યોએ તેમને પૂછયું, "તો પછી નિયમશાસ્ત્રના પંડિતો કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ?"
11 ઈસુએ જવાબ આપ્યો, "એલિયા આવે છે ખરો, અને બધું વ્યવસ્થિત કરશે. 12 પણ હું તમને કહું છું, એલિયા તો આવી ચૂકયો છે, અને તેઓએ તેને ઓળખ્યો નહિ. પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. એ જ પ્રમાણે માણસના દીકરાએ પણ તેઓના હાથે સહન કરવું પડશે." 13 ત્યારે શિષ્યો સમજ્યાં કે તેઓ યોહાન બાપ્તિસ્ત વિષે તેમને કહેતા હતા.
14 જયારે તેઓ ટોળા પાસે આવ્યા, ત્યારે એક માણસ ઈસુની આગળ આવીને ઘુંટણે પડયો, 15 તેણે કહ્યું "પ્રભુ! મારા દીકરા પર દયા કરો, તેને વાઈનું દરદ છે ને તે ઘણો પીડાય છે. તે વારંવાર અગ્નિમાં, અને પાણીમાં પડે છે. 16 હું તેને તમારાં શિષ્યો પાસે લાવ્યો પણ તેઓ તેને સાજો કરી શક્યાં નહિ."
17 ઈસુએ જવાબ આપ્યો, "ઓ અડીયલ, અને અવિશ્વાસી પેઢી!" ઈસુએ જવાબ આપ્યો, "હું કયાં સુધી તમારી સાથે રહીશ? કયાં સુધી હું તમારું સહીશ, છોકરાંને અહીં મારી પાસે લાવો." 18 ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો ને તે છોકરામાંથી બહાર આવ્યો. અને તે ઘડીએ તે સાજો થયો.
19 પછી શિષ્યોએ ઈસુની પાસે એકાંતમાં આવીને પૂછયું, "અમે તેને કેમ કાઢી ન શક્યાં?"
20 તેમણે જવાબ આપ્યો, "કેમકે તમારો વિશ્વાસ થોડો છે. હું તમને સાચે જ કહું છું, જો તમારો વિશ્વાસ રાઈના બી જેટલો નાનો હોય, તો તમે આ પર્વતને કહી શકો છો કે, ‘અહીંથી ત્યાં ખસી જા!’ તો તે ખસી જશે! તમારા માટે કશું જ અશક્ય નહિ હોય. 21 પરંતુ પ્રાર્થના અને ઉપવાસ વિના એ જાત નીકળતી નથી."
22 જયારે તેઓ ગાલીલમાં એકઠા થયા, ત્યારે તેમણે તેઓને કહ્યું, "માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે. 23 તેઓ તેને મારી નાંખશે અને ત્રીજા દિવસે તે સજીવન થશે." અને શિષ્યો શોકથી ભરાય ગયા.
24 પછી ઈસુ અને તેમના શિષ્યો કપરનાહૂમ પહોંચ્યા, મંદિરનો કર વસૂલ કરનારાંઓએ પિતરની પાસે આવીને પૂછયું કે, "શું તમારાં ગુરુ મંદિરનો કર આપતાં નથી?"
25 પિતરે જવાબ આપ્યો, "હા, તે આપે છે."
જયારે પિતર ઘરમાં આવ્યો, ત્યારે ઈસુએ પહેલાં તેને પૂછયું, "સિમોન, તને શું લાગે છે? પૃથ્વીનાં રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? તેમના પોતાના છોકરાઓ પાસેથી કે બીજાઓ પાસેથી?"
26 પિતરે ઉત્તર આપ્યો, "બીજાઓ પાસેથી."
ઈસુએ તેને કહ્યું, "ત્યારે દીકરાઓ તો મુક્ત છે; 27 તોપણ, આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ, તું સરોવર કાંઠે જઈને તારો ગલ નાંખ, પહેલી માછલી પકડાય તે લે, તેનું મોં ઉઘાડ અને તેમાંથી તને એક સિક્કા મળશે. તે લઈને તું તારો અને મારો કર તેઓને ચૂકવી દે."