1 જેમ હું મસીહને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.
2 મેં જે શિક્ષણ આપ્યું છે તે તમે યાદ રાખો છો અને તે પ્રમાણે ચાલો છો તેથી હું તમારાં વખાણ કરું છું. 3 પણ એક બાબત વિશે હું તમને જણાવવાં માગું છું કે દરેક માણસનું શિર મસીહ છે, અને સ્ત્રીનું શિર પુરુષ છે, અને મસીહનું શિર ઈશ્વર છે. 4 તેથી પ્રાર્થના કે પ્રબોધ કરતાં જો કોઈ પુરુષ પોતાનું માથું ઢાંકેલું રાખે તો તે પોતાના શિરનું અપમાન કરે છે. 5 અને જો કોઈ સ્ત્રી પોતાનું માથું ઢાંક્યા સિવાય પ્રાર્થના કે પ્રબોધ કરે તો તે તેના શિરનું અપમાન કરે છે, તેમ કરવું તે મૂંડેલી હોવા બરાબર છે. 6 જો કોઈ સ્ત્રી માથું ઢાંકવાની ના પાડતી હોય તો તેણે પોતાના માથાના વાળ કપાવી નાખવા જોઈએ; અને જો તેને વાળ કપાવી નાખવાનું કે મૂંડાવાનું શરમભરેલું લાગતું હોય, તો પછી તેણે માથું ઢાંકવું જોઈએ.
7 પુરુષે માથું ઢાંકવું જોઈએ નહિ કેમકે તે ઇશ્વરનો મહિમા છે; પરંતુ સ્ત્રીએ પુરુષનો મહિમા છે. 8 કેમકે પુરુષ સ્ત્રીથી ઉત્પન્ન થયો નથી. પણ સ્ત્રી પુરુષમાંથી ઉત્પન્ન થઈ. 9 પુરુષને સ્ત્રી માટે ઉત્પન્ન કરવામાં આવ્યો ન હતો, પરંતુ સ્ત્રીને પુરુષ માટે. 10 તેથી દૂતોને કારણે પોતાની આધીનતા દર્શાવવા માટે સ્ત્રીઓએ પોતાનું માથું ઢાંકવું જોઈએ. 11 તોપણ પ્રભુમાં સ્ત્રી પુરુષ વગર નથી, તેમજ પુરુષ પણ સ્ત્રી વગર નથી. 12 કેમકે જેમ સ્ત્રી પુરુષમાંથી ઉત્પન્ન થઈ, તેમ પુરુષ સ્ત્રીથી જન્મેલાં છે. પણ બધા ઈશ્વરમાંથી ઉત્પન્ન થયાં છે.
13 સ્ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાથઁના કરે એ શું તેને શોભે? તે વાતનો તમે પોતે નિણઁય કરો. 14 શું કુદરત પોતે આપણને શીખવતી નથી કે સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ? કેમકે લાંબા વાળ પુરુષોને માટે શોભારૂપ નથી. 15 પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે. કેમકે તેના વાળ આચ્છાદાનને સારું તેને આપેલા છે 16 આ વિશે કોઈને કોઇ દલીલ હોય તો, આપણામાં તથા ઈશ્વરની મંડળીમાં પણ એવો રિવાજ નથી.
17 આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમકે તમારું એકઠાં મળવું સુધારા કરતા નુકશાનકારક છે. 18 પ્રથમ તો એ છે કે, જ્યારે તમે મંડળીમાં એકઠા થાઓ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારા સાંભળવામાં આવે છે; અને એ થોડે ઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું. 19 જેઓ ઇશ્વરનાં પસંદ કરેલાં છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે. 20 તેથી જ્યારે તમે એકઠા થાઓ છો, ત્યારે પ્રભુનું ભોજન તમે ખાતા નથી. 21 પણ જ્યારે તમે ખાઓ છો ત્યારે તમારું પોતાનું ભોજન આગળથી કરો છો, પરીણામે એક ભૂખ્યો રહે છે અને બીજો પીને મસ્ત થાય છે. 22 શું તમારે માટે ખાવાપીવા માટે ઘર નથી? અથવા જેમની પાસે કંઈ નથી તેઓનું અપમાન કરીને તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો? હું તમને શું કહું? શું હું તમારા વખાણ કરું? ના! ખરેખર આ વાતમાં નહિ!
23 કેમકે પ્રભુ તરફથી મને જે મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું: જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા તે રાત્રે તેમણે રોટલી લીધી, 24 અને જ્યારે તેમણે આભાર માન્યો. ત્યારે તેમણે ભાંગીને કહ્યું, "આ મારું શરીર છે જે તમારે માટે છે. મારી યાદગીરીને માટે આ કરો." 25 એ જ રીતે, ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું, "આ પ્યાલો મારા રક્તમાનો નવો કરાર છે. જેટલી વાર તમે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો." 26 કારણ કે જયારે તમે આ રોટલી ખાઓ છો ત્યારે અને આ પ્યાલામાંથી પીઓ છો ત્યારે તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.
27 તેથી જો કોઈ અયોગ્ય રીતે રોટલી ખાય અને આ પ્યાલામાંથી પીએ તો તે પ્રભુના શરીર અને લોહીની વિરુધ્ધ પાપ કરે છે. 28 માટે આ રોટલી ખાતાં પહેલાં અને આ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે પોતાની પરીક્ષા કરવી. 29 જો કોઈ મસીહના શરીરનો મર્મ સમજ્યાં વગર રોટલી ખાય છે અને પ્યાલામાંથી પીએ છે તો તે ખાઘાથી તથા પીધાથી પોતાને શિક્ષા પાત્ર ઠરાવે છે. 30 આને લીધે જ તમારાંમાંના ઘણાં નબળાં અને બીમાર છે અને કેટલાક તો ઊંઘી ગયા છે. 31 પહેલાં તમે કાળજીપૂર્વક પોતાની પરીક્ષા કરો તો આપણો ન્યાય કરવામાં નહિ આવે. 32 પણ જ્યારે આ રીતે પ્રભુથી આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે જગતની સાથે આપણને શિક્ષા ન થાય માટે આપણને શિખવવામાં આવ્યું છે.
33 તેથી, ભાઈઓ અને બહેનો, જયારે તમે ખાવા એકઠા મળો ત્યારે બધા સાથે ખાઓ. 34 જો કોઈને ભૂખ લાગી હોય તો તેણે ઘરે ખાઈ લેવું, જેથી તમે એકઠા મળો ત્યારે કોઈનો ન્યાય ન થાય.
અને જ્યારે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.