Publicidade

1 Coríntios 14

આરાધનાંમાં સુગમતા

1 પ્રેમને અનુસરો અને આત્મિક દાનોની ઈચ્છા રાખો, વિશેષ કરીને પ્રબોધ કરવાની. 2 કેમકે જે કોઇ ભાષા બોલે છે માણસો સાથે નહિ પણ ઈશ્વર સાથે વાત કરે છે, કોઇ તેને સમજતું નથી પણ તેઓ આત્મામાં મઁમો બોલે છે. 3 પણ જે પ્રબોધ કરે છે, તે લોકોને મજબુત કરવાને, ઉત્તેજન આપવાને, અને દિલાસો આપવાને બોલે છે; 4 જે કોઇ અન્યભાષા બોલે છે તે પોતાની જ ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે, તે મંડળીની ઉન્નતિ કરે છે. 5 મારી એવી ઇચ્છા છે બધા અન્યભાષા બોલે, પણ તમે બધા પ્રબોધ કરી શકો એ હું વધારે ઈચ્છું છું; જે પ્રબોધ કરે છે તે અન્યભાષા બોલનાર કરતાં મોટો છે, ભાષાઓ બોલનાર, જો મંડળીની ઉન્નતી કરવા માટે ભાષાંતર ન કરે, તો તેનાં કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે.

6 હવે ભાઈઓ અને બહેનો, જો હું તમારી પાસે આવું અને અન્યભાષા બોલું અને જયાં સુધી હું પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધકે શિખામણરૂપ વચનો તમારી આગળ ન બોલું તો તમને શું લાભ? 7 એમ જ અવાજ કાઢનારા નિર્જીવ સાધનો, જેવાં કે વાંસળી અથવા વાજાં જો અલગ અલગ અવાજ ન કાઢે, તો શું વાગે છે તે કેમ માલૂમ પડે? 8 વળી, જો રણશિંગડું યોગ્ય સૂર કાઢે નહિ તો યુધ્ધ માટે કોણ તૈયાર થાય? 9 તે જ પ્રમાણે જો સમજી શકાય તેવાં શબ્દો ન બોલો, તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમકે એમ કરવાથી તમે હવામાં બોલનાર જેવા થશો. 10 આ જગતમાં જુદી જુદી ઘણી ભાષાઓ છે. તેમાની એકે અથઁ વગરની નથી. 11 તેથી જો હું અમુક ભાષાનો અથઁ ન જાણું તો બોલનારની આગળ હું પરદેશી જેવો થઈશ, અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે. 12 એ માટે તમે પણ આત્માના દાન પ્રાપ્ત કરવા માટે તમે આતુર છો, માટે મંડળીની ઉન્નતીને માટે કોશિશ કરો.

13 એ માટે અન્યભાષા બોલનારે પ્રાથઁના કરવી જોઈએ કે જે તે બોલે છે તેનો અથઁ સમજાવી શકે. 14 હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પરંતુ મારી સમજશકિત નિષ્ફળ છે. 15 તો હું શું કરું? હું મારા આત્માથી પ્રાથઁના કરીશ, હું મારી સમજશકિતથી પણ પ્રાર્થના કરીશ; હું મારા આત્માથી ગાઈશ અને મારી સમજશકિતથી પણ ગાઈશ. 16 જયારે તમે આત્માથી ઈશ્વરની સ્તુતિ કરો તો પછી ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમકે તેઓ તમારું બોલવું સમજતા નથી. 17 તમે સારી રીતે આભારસ્તુતિ કરો છો પણ અન્ય લોકોની ઉન્નતિ થતી નથી.

18 તમો સર્વનાં કરતાં હું વધારે ભાષાઓ બોલું છું માટે ઈશ્વરનો આભાર માનું છું. 19 પરંતુ મંડળીમાં અન્ય ભાષાઓમાં દસ હજાર શબ્દો બોલવાં કરતાં બીજાઓને શીખવવા સમજવા લાયક પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.

20 ભાઈઓ અને બહેનો, સમજણમાં બાળક ન થાઓ. ભૂંડાઈની બાબતોમાં બાળકો જેવા બનો, પણ સમજણમાં પ્રૉઢ બનો. 21 નિયમશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે:

"અન્યભાષા બોલનારા વડે

અને વિદેશોનાં હોઠો વડે;

હું આ લોકોની સાથે બોલીશ;

એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ;

એમ પ્રભુ કહે છે."

22 આમ અન્ય ભાષાઓ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિન્હરૂપ છે; પણ પ્રબોધ, અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે છે. 23 તેથી જો આખી મંડળી ભેગી થાય અને દરેક અન્ય ભાષાઓમાં બોલે, અને અભણો અથવા અવિશ્વાસીઓ અંદર આવે, તો તમે ઘેલા છો એમ તેઓ નહિ કહે? 24 પણ જો અવિશ્વાસી કે અભણ અંદર આવે કે જયારે સવઁ પ્રબોધ કરતાં હોય, તેઓને પાપની ખાતરી થાય છે અને તેના વડે તેનો ન્યાય થશે. 25 અને તેમના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે. અને તે ઘુંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું તે જાહેર કરશે.

શિસ્તબધ્ધ આરાધના

26 તો પછી ભાઈઓ અને બહેનો, આપણે શું કહીએ? તમે જયારે એકઠાં થાવ છો, ત્યારે કોઈ ગીત ગાય છે, કોઈ ઉપદેશ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્યભાષા બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. પણ જે કાંઈ તમે કરો તે બધું જ મંડળીની ઉન્નતિને અર્થે થવું જોઈએ. 27 જો કોઇ અન્યભાષા બોલે, તો બે કે વધુમાં વધુ ત્રણ જણ બોલે, અને તે પણ વારાફરતી, અને એક તેનો અથઁ સમજાવે. 28 પરંતુ ભાષાંતર કરી શકે એવો કોઈ ન હોય તો મંડળીમાં બોલનારે શાંત રહીને મનોમન ઈશ્વરની સાથે બોલવું.

29 બે કે ત્રણ પ્રબોધ કરે અને બીજા તે શું કહે છે તેની તુલના કરે. 30 અને જો બેઠેલાંમાના કોઇને પ્રકટીકરણ થાય, તો પ્રથમ બોલનારે બોલવાનું બંધ કરવું, 31 કેમકે સવઁ શીખે અને ઉત્તેજન પામે એ હેતુથી તમારે વારાફરતી પ્રબોધ કરવો. 32 પ્રબોધકનાં આત્માઓ પ્રબોધકને આધીન છે. 33 કેમકે ઈશ્વર અવ્યવસ્થાનો નહિ પણ વ્યવસ્થાના ઈશ્વર છે, જેમ બીજે પ્રભુના લોકોમાં ચાલે છે તેમ.

34 મંડળીમાં સ્ત્રીઓએ છાના રહેવું. તેઓને બોલવાની પરવાનગી નથી, પણ શાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે તેઓએ આધીનતામાં રહેવું જોઈએ. 35 જો તેઓને કાંઈ જાણવાની ઇચ્છા હોય તો તેઓ ઘરે પોતાના પતિને પૂછે; કેમકે મંડળીમાં સ્ત્રીઓએ કાંઈ બોલવું તે શોભારૂપ નથી.

36 ઈશ્વરનું વચન શું તમારાથી આવ્યું? કે તે શું એકલા તમને પ્રાપ્ત થયું? 37 જો કોઇ પોતાને પ્રબોધક કે આત્માથી દાન પામેલો ધારે તો જે વાતો તમારા પર લખું છું. તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું. 38 પણ જો કોઇ અજ્ઞાન હોય તો તે ભલે પોતાની અજ્ઞાનતામાં રહે.

39 તેથી, મારા ભાઈઓ અને બહેનો, પ્રબોધ કરવાની અભિલાષા રાખો, અને અન્ય ભાષામાં બોલનારને અટકાવો નહિ. 40 પણ તમે જે કાંઈ કરો, તે બધું જ ઉચિત અને વ્યવસ્થિત રીતે કરો.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-