અશુધ્ધ આત્મા વળગેલા માણસને સાજાપણું
1 તેઓ સરોવરને સામે કિનારે ગેરસાનીઓના પ્રદેશમાં ગયા. 2 ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે કબરોમાંથી અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળવા આવ્યો. 3 તે કબરોમાં રહેતો હતો, તેને કોઇ સાંકળોથી પણ બાંધી શકતો ન હતો. 4 કેમકે તેને ઘણીવાર હાથ-પગમાં સાંકળો તથા બેડીઓથી બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળો અને બેડીઓ તોડી નાંખતો. કોઈ તેને વશ રાખી શક્તું નહોતું. 5 તે રાતદિવસ કબરોમાં તથા પહાડોમાં ચીસો પાડતો, પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.
6 ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, અને તેમની આગળ ઘૂંટણે પડયો 7 તેણે ભયંકર ચીસ પાડીને કહ્યું, "ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના પુત્ર! તમારે અને મારે શું? ઈશ્વરની ખાતર મને પીડા ન દો." 8 ઈસુએ તે અશુધ્ધ આત્માને ધમકાવતાં કહ્યું, "આ માણસમાંથી બહાર નીકળ."
9 ઈસુએ પૂછયું, "તારું નામ શું છે?"
અશુધ્ધ આત્માએ જવાબ આપ્યો, "મારું નામ સેના છે, કારણ અમે અનેક છીએ." 10 તેણે ઈસુને વારંવાર વિનંતી કરીને કહ્યું, અમને આ જગ્યાથી કાઢી ન મૂકો.
11 ત્યાં પહાડની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરી રહ્યું હતું. 12 અશુધ્ધ આત્માએ આજીજી કરી, "અમને તે ભૂંડોનાં ટોળામાં પેસવા દો કે અમે તેઓમાં જઈએ." 13 ઈસુએ તેઓને જવા દીધા, તેથી અશુધ્ધ આત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠાં, અને લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને ડુબી ગયું.
14 પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને ગામડાંમાં નાસી ગયા અને તે જોવાને માટે લોકો ઊમટી પડયાં.