Publicidade

Romanos 2

ઈશ્વરનો સાચો ન્યાય

1 એ માટે, બીજાનો ન્યાય કરનાર, તમારી પાસે કંઇ બહાનું નથી, કેમકે જયારે તમે બીજાને દોષિત ઠરાવો છો, ત્યારે તમે પોતે જ દોષિત ઠરો છો, કારણ કે તમે ન્યાય કરનારાઓ પણ એ જ કામો કરો છો 2 હવે આપણે જાણીએ છીએ કે, એવા કામ કરનારાઓ વિરુધ્ધ ઇશ્વરનો ન્યાય સત્ય પર આધારીત છે. 3 તો જયારે એક માનસ તરીકે તેઓનો ન્યાય કરે છે અને છતાં જાતે એવાં કામો કરે છે, ત્યારે શું તું એમ માને છે કે તું ઈશ્વરના ન્યાયથી બચી જઈશ? 4 અથવા ઈશ્વરનો ઉપકાર પસ્તાવો કરવા પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની સહનશીલતા તથા ધિરજને તું તુચ્છ ગણે છે?

5 પણ તારું હઠિલાપણું અને પશ્ચાતાપરહિત અંતઃકરણને લિધે તારે પોતાને સારું તું ઇશ્વરના કોપનાં દિવસને માટે, જયારે તેમનો યથાથઁ ન્યાય પ્રગટ થશે, ત્યારે પોતાની વિરુદ્ધ કોપનો સંગ્રહ કરી રહ્યો છે 6 ઈશ્વર "તે દરેકને તેની કરણી પ્રમાણે બદલો આપશે." 7 જેઓ ખંતથી સારાં કામ કરે છે અને જે અદ્રશ્ય મહિમા, માન અને અવિનાશીપણું શોધે છે તેઓને તે અનંતજીવન આપશે. 8 પરંતુ જેઓ સ્વાર્થી છે, અને ઈશ્વરના સત્યને ગણકારતાં નથી અને દુષ્ટ માર્ગોમાં ચાલે છે, તેઓ પર ઈશ્વરનો કોપ ઊતરી આવશે. 9 પાપમાં રચ્યાં પચ્યાં રહેનાર દરેક પર દુઃખ અને યાતના આવી પડશે. પહેલાં યહૂદી પર પછી વિદેશીઓ પર. 10 પરંતુ સારું કરનાર દરેક જણને તેમના તરફથી મહિમા, માન તથા શાંતિ મળશે, પછી તે યહૂદી હોય કે વિદેશીઓ હોય. 11 કેમકે ઈશ્વરને ત્યાં પક્ષપાત નથી.

12 નિયમશાસ્ત્ર વગર જેટલાએ પાપ કયુઁ, તેઓ નિયમશાસ્ત્ર વગર છતાં નાશ પામશે, અને નિયમશાસ્ત્ર હોવા છતાં જેટલાએ પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે થશે. 13 કેમકે જેઓ નિયમશાસ્ત્ર સાંભળે છે તેઓ ઈશ્વર સમક્ષ ન્યાયી ઠરશે નહિ, પણ જેઓ નિયમશાસ્ત્રનું પાલન કરે છે તેઓ જ ન્યાયી ઠરશે. 14 ખરેખર, વિદેશીઓ પાસે નિયમશાસ્ત્ર નથી પરંતુ તેઓ જયારે સ્વાભાવિક રીતે તે પ્રમાણે વર્તે છે. ત્યારે નિયમશાસ્ત્ર ન હોવા છતાં તેઓ પોતે પોતાને સારું નિયમરૂપ છે. 15 તેઓના અંતઃકરણમાં ઈશ્વરના નિયમો લખેલાં છે, તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓનો અંતરાત્મા આ વિશે સાક્ષી આપે છે અને તેઓના વિચાર એકબીજાને દોષિત કે નિર્દોષ ઠરાવે છે અને કયારેક તેમનો બચાવ પણ કરે છે. 16 મેં પ્રગટ કરેલી સુસમાચાર પ્રમાણે ઈશ્વર ઈસુ મસીહ મારફત માણસનાં ગુપ્ત કામોનો ન્યાય કરશે તે દિવસે બનશે.

યહૂદી અને કાયદો

17 હવે જો તું પોતાને યહૂદી કહેવડાવે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખીને; ઈશ્વર વિશે અભિમાન ધરાવે છે. 18 જો તમે તેમની ઈચ્છા જાણો છો અને જે શ્રેષ્ઠ છે તેને માન્ય કરો છો; કેમકે તમને નિયમશાસ્ત્ર શીખવવામાં આવ્યું છે. 19 વળી તમે ખાતરીપૂર્વક માનો છો કે; તમે અંધજન માટે માગઁદર્શક અને અંધકારમાં અટવાયેલા માટે અજવાળારૂપ છે; 20 તું અજ્ઞાનીઓને માર્ગદર્શક, નાના બાળકોનો શિક્ષક, કેમકે તું નિયમશાસ્ત્ર જાણે છે જે જ્ઞાન તથા સત્યતાનું સ્વરૂપ છે; 21 તો પછી બીજાઓને શીખવનાર, તું પોતાને કેમ શીખવતો નથી? ચોરી ન કરવાનો ઉપદેશ આપનાર, શું તું પોતે જ ચોરી કરે છે! 22 વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિપૂજાથી કંટાળનાર શું તું પોતે જ મંદિરોને લૂંટે છે! 23 તું જે નિયમશાસ્ત્રમાં અભિમાન કરે છે, નિયમશાસ્ત્રનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી શું? 24 જેમ લખેલું છે તેમ તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરનું નામ નિંદાય છે.

25 જો તમે નિયમો પાળો છો તો સુન્નત લાભકારક છે; પરંતુ જો તમે નિયમનો ભંગ કરો છો તો તમે સુન્નત ન કરાયેલા જેવા છો. 26 તો પછી, જો સુન્નત ન કરાવનારાઓ નિયમોનું પાલન કરે, તો શું તેઓ તેને સુન્નત કરાયેલ જેવો નહિ ગણે શું? 27 જેઓ શારિરિક રીતે સુન્નતી નથી છતાં નિયમોનું પાલન કરે છે, તે તમને દોષિત ઠરાવશે. કારણ કે તમારી પાસે લેખિત નિયમશાસ્ત્ર તથા સુન્નત હોવા છતાં તમે નિયમભંગ કયોઁ છે?

28 જે વ્યકિત ફકત બહારથી યહૂદી છે તે યહૂદી નથી, અને જે દેખીતી અને શારીરિક યહૂદી છે તે સુન્નતી નથી; 29 ના, જે વ્યક્તિ આંતરિક યહૂદી છે તે યહૂદી છે, અને સુન્નત એ હ્રદયની સુન્નત છે, લેખિત અક્ષરોથી નહિ પણ પવિત્ર આત્માથી થાય છે આવા લોકોની પ્રશંસા બીજા લોકો તરફથી નહિ, પણ ઈશ્વર તરફથી થાય છે.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-