મૂએલાઓનો ન્યાય
11 પછી મેં એક શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર એક જણને બેઠેલો જોયો. તેમની હાજરીથી પૃથ્વી તથા આકાશ નાસી ગયાં, અને તેમના માટે કોઈ સ્થાન હતું નહિ. 12 પછી મેં મૂએલાને, નાનાં તથા મોટાં સર્વને રાજ્યાસનની આગળ ઊભેલાં જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. બીજું પુસ્તક ઊઘાડવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક છે. તે પુસ્તકોમાં લખ્યાં પ્રમાણે મૂએલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. 13 સમુદ્રે પોતાનામાં જે મૂએલા હતાં તેઓને પાછા આપ્યા, અને મરણે અને હાદેસે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછા આપ્યા, અને દરેક વ્યક્તિનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. 14 પછી મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા. અગ્નિની ખાઈ તે જ બીજું મરણ છે. 15 જે કોઈનું નામ જીવનનાં પુસ્તકમાં નોંધાયેલું મળી આવ્યું નહિ તેઓને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા.