અરણ્યમાં ઈસુનું પરીક્ષણ
1 પછી શેતાનથી ઈસુનું પરીક્ષણ થાય માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો. 2 ત્યાં ચાળીસ દિવસ અને ચાળીસ રાતના ઉપવાસ પછી તેમને ભૂખ લાગી, 3 તેમનું પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર છો, તો આ પથ્થરોને કહો કે તે રોટલી થઈ જાય."
4 ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."
5 પછી શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને તેમને મંદિરનાં સવોઁચ્ચ સ્થાન પર ઊભા રાખ્યા. 6 તેણે કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર છો, તો પોતાને નીચે પાડી નાખો, કારણ કે લખેલું છે કે,
" ‘ઈશ્વર પોતાના દૂતોને તમારા સંબંઘી આજ્ઞા કરશે ને
તેઓ તમને તેમના હાથોમાં ઊંચકી લેશે,
જેથી તમારો પગ પથ્થર સાથે અથડાય નહિ.’ "
7 ઈસુએ તેમને જવાબ આપ્યો, "એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરનુંં પરીક્ષણ કરવું નહિ."
8 ફરી શેતાન તેમને એક ઘણાં ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો અને દુનિયાનાં સર્વ રાજયો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યાં, 9 તેણે કહ્યું "જો તમે મારા પગે પડીને મારું ભજન કરશો તો આ સર્વ હું તમને આપીશ."
10 ઈસુએ તેને કહ્યું, "શેતાન! મારાથી દુર જા! કેમકે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કર, ને તેમની જ સેવા કર.’ "
11 પછી શેતાન ત્યાંથી ચાલ્યો ગયો અને દૂતોએ આવીને તેમની સેવા કરી.