36 પછી ટોળાને મૂકીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું "ખેતરના કડવા દાણાનું દ્રષ્ટાંત અમને સમજાવો."
37 તેમણે જવાબ આપ્યો, "સારાં બી જેણે વાવ્યાં તે માણસનો દીકરો છે. 38 ખેતર એ જગત છે, અને સારાં બી એ સ્વર્ગનાં રાજ્યનાં લોકો માટે છે. કડવા દાણા એ શેતાનનાં લોકો છે. 39 અને કડવા દાણા વાવી જનાર દુશ્મન એ શેતાન છે, કાપણી એ જગતનો અંત છે અને પાક લણનારાં એ દૂતો છે.
40 "જેમ કડવા દાણા ખેંચીને અગ્નિમાં સળગાવી દેવામાં આવે છે, તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. 41 માણસનો દીકરો તેમના દૂતોને મોકલશે અને જેઓ તેમના રાજ્યમાંથી પાપનું કારણ બને છે અને જે બધી દુષ્ટતા કરે છે તે બધાને તેઓ કાઢી નાખશે, 42 તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. 43 ત્યારે ન્યાયી પોતાના પિતાનાં રાજ્યમાં સૂર્યની માફક પ્રકાશશે. જેને કાન હોય તે સાંભળે."