ફરોશી અને જકાતદારનું દ્રષ્ટાંત
9 જેઓ પોતાના ન્યાયીપણા વિશે અભિમાન કરતા હતા, અને બીજાને તિરસ્કારતા હતા, તેઓને ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું. 10 "બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો જકાતદાર. 11 ફરોશીએ ઊભા રહીને મનમાં પ્રાર્થના કરતાં કહ્યું: ‘હે ઈશ્વર! હું તમારો આભાર માનું છું કે બીજાનાં જેવો લુંટારો, દુષ્ટતા કરનાર, કે વ્યભિચાર કરનાર કે આ જકાતદારના જેવો હું નથી. 12 અઠવાડિયે બે વાર હું ઉપવાસ કરું છું અને મને જે મળે છે તેનો દસમો ભાગ આપું છું.’
13 "પણ જકાતદાર દૂર ઊભો રહ્યો, તેણે આકાશ તરફ ઊંચું પણ ન જોવા ચાહતા, તેણે પોતાની છાતી કુટીને કહ્યું, ‘હે ઈશ્વર! મુજ પાપી પર દયા કરો!’
14 "હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ઈશ્વરની આગળ ન્યાયી ઠરી ઘરે ગયો. કારણ કે, જે કોઇ પોતાને ઊંચો કરે છે તેને નમ્ર કરવામાં આવશે અને જે કોઇ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે."