શ્રીમંત માણસ અને લાઝરસ
19 "એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના કિમતી વસ્ત્રો પહેરતો ને નિત્ય મોજમઝામાં રહેતો હતો. 20 તેના દરવાજા પાસે લાઝરસ નામે એક ભિખારી પડી રહેતો હતો, તેને આખા શરીરે ફોલ્લાં હતા. 21 અને શ્રીમંત માણસનાં ટેબલ પરથી પડેલા ટુકડા ખાવાની ઇચ્છા રાખતો હતો; કૂતરાં પણ આવીને તેના ફોલ્લાં ચાટતાં હતાં.
22 "જયારે સમય આવ્યો અને ભિખારી મરણ પામ્યો અને સ્વર્ગના દૂતો તેને અબ્રાહમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત માણસ પણ મરણ પામ્યો, ને તેને દફનાવવામાં આવ્યો. 23 હાદેસમાં તે વેદના સહેતાં, તેણે ઉપર જોયું ને ઘણે દૂર અબ્રાહમની ગોદમાં લાઝરસને જોયો. 24 તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહમ, મારા પર દયા કરો ને લાઝરસને અહીં મારી પાસે મોકલો કે તે તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કારણ હું અહીં આ આગમાં વેદના ભોગવી રહ્યો છું.’
25 "પણ અબ્રાહમે જવાબ આપ્યો, ‘દીકરા, તારા જીવન દરમ્યાન તું તારા સારા વાનાં પામ્યો હતો, પણ લાઝરસ ખરાબ વાનાં પામ્યો, હવે તે અહીં દિલાસો પામે છે અને તું વેદનામાં છે. 26 અને તે સવઁ ઉપરાંત અમારી ને તારી વચ્ચે ઊંડી ખાઈ આવેલી છે, તેથી અહીંથી જો કોઈ તમારી પાસે આવવાં ઈચ્છે તો તેઓ આવી શકતા નથી, કે ત્યાંથી અહીં અમારી પાસે આવી શકતાં નથી.’
27 "ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘હું તમને વિનંતી કરું છું કે લાઝરસને મારા કુટુંબમાં મોકલો; 28 કેમકે મારે પાંચ ભાઈઓ છે તેથી તે તેઓને ચેતવણી આપે કે તેઓ પણ આ વેદનાની જગ્યાંએ આવી ન પડે.’
29 "અબ્રાહમે જવાબ આપ્યો, ‘મોશે અને પ્રબોધકો તેઓની પાસે છે. તેઓનું તેમને સાંભળવા દો.’
30 " ‘તેણે કહ્યું, ના,’ અબ્રાહમ પિતા, ‘મૂએલામાંથી જો કોઈ તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરશે.’
31 "તેમણે તેને કહ્યું, ‘જો તેઓ મોશે અને પ્રબોધકોનું સાંભળતા નથી તો મૂએલાંમાંથી ઊઠીને કોઈ તેઓની પાસે જાય તોપણ તેઓ માનવાના નથી.’ "