1 સતત પ્રાર્થના કરતાં રહેવું જોઈએ અને કાયર થવું નહિ, એ સમજાવવા માટે ઈસુએ પોતાના શિષ્યોને આ દ્રષ્ટાંત કહ્યું. 2 તેમણે કહ્યું "એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે ઈશ્વરથી ડરતો ન હતો અને લોકો શું વિચારતા તે ગણકારતો ન હતો. 3 અને તે શહેરમાં એક વિધવા રહેતી હતી, તે વારંવાર પોતાની વિનંતી લઇને તેની પાસે આવતી હતી, મારા વાદીની પાસેથી મને ન્યાય અપાવ.
4 "થોડા સમય સુધી તેણે નકાયુઁ પણ આખરે તેણે પોતાના મનમાં કહ્યું કે જો ‘હું ઈશ્વરથી બીતો નથી અને માણસ મારા વિશે શું વિચારે છે એ ગણકારતો નથી 5 તોપણ આ વિધવા મને હેરાન કરે છે. તેથી હું જોઈશ કે તેને ન્યાય મળે, રખેને તે વારંવાર આવીને મને થકવે.’ "
6 અને પ્રભુએ કહ્યું, "અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. 7 અને શું તમને એમ નથી લાગતું કે ઈશ્વરે પોતાના પસંદ કરેલાં કે જેઓ તેમને રાતદિવસ વિનવે છે, તેઓને શું ન્યાય નહિ આપશે? તેમના વિશે તે ખામોશી રાખશે? 8 હું તમને કહું છું કે તેઓને તે જલ્દી ન્યાય આપશે. છતાં પણ, જયારે માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેમને વિશ્વાસ મળશે કે શું?"