27 જયારે ઈસુ કાંઠે ઊતર્યા, ત્યારે શહેરમાં અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો, ઘણાં લાંબા સમયથી આ માણસ કપડાં પહેરતો ન હતો. અને ઘરમાં રહેતો ન હતો પણ કબરોમાં રહેતો હતો. 28 જયારે તેણે ઈસુને જોતાં તે બૂમ પાડીને તેમના પગે પડ્યો અને મોટે ઘાંટે બોલ્યો, "ઓ પરાત્પર! ઈશ્વરના પુત્ર! મારે ને તમારે શું? હું આજીજી કરું છું કે મને પીડા ન આપો." 29 કેમકે ઈસુએ અશુધ્ધ આત્માને તે માણસમાંથી નીકળી જવાનો હુકમ કર્યા હતો. વારંવાર તે તેને વળગતો હતો, સાંકળોથી તેના હાથ અને પગ બાંધતા અને ચોકીમાં રાખતા, તેણે તેની સાંકળો તોડી નાખીને અશુદ્ધ આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઇ જતો.
30 ઈસુએ તેને પૂછયું, "તારું નામ શું છે?"
તેણે જવાબ આપ્યો, "સેના." કારણ કે તેનામાં ઘણાં અશુધ્ધ આત્મા ગયા હતા. 31 અને તેમણે ઈસુને વારંવાર વિનંતી કરી કે, અમને ઊંડાણમાં જવાનો હુકમ ન કરો.
32 હવે ત્યાં ભૂંડોનું એક મોટું ટોળું ત્યાં પાસે પહાડની બાજુએ ચરતું હતું. અશુધ્ધ આત્માઓએ ઈસુને આજીજી કરી કે અમને ભૂંડોમાં પેસવાં દો. તેમણે તેઓને રજા આપી. 33 જયારે માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળીને ભૂંડોમાં પેઠાં અને આખું ટોળું નીચે સરોવરમાં ધસી પડ્યું ને ડુબી ગયું.
34 જે થયું તે જોઇને ચરાવનારાં દોડયા, અને શહેરમાં તથા ગામમાં તે જાહેર કયુઁ. 35 અને જે બન્યું તે જોવા માટે લોકો ગયા. જયારે તેઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે પેલા અશુધ્ધ આત્મા વળગેલાં માણસે વસ્ત્ર પહેરેલો તથા સંપૂર્ણ સ્વસ્થ થયેલો અને ઈસુના પગ પાસે બેઠેલો જોયો. અને તેઓ ભયભીત થઈ ગયા.