ઈસુએ પાંચ હજારને જમાડયાં
10 જયારે પ્રેષિતો પાછા આવ્યા ત્યારે તેઓએ જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. પછી તેમણે તેઓને લઈને બેથસૈદા કહેવાતાં શહેરમાં લઇ ગયા. 11 પણ ટોળાએ તે વિશે જાણી લીધું અને તેમની પાછળ ગયા. તેમણે તેઓને આવકાર્યા અને ઈશ્વરના રાજ્ય વિશે તેઓને કહ્યું, અને સાજાપણાની જરૂર હતી તેમને સાજાં કર્યા.
12 સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "ટોળાને મોકલો કે તેઓ નજીકનાં ગામોમાં જઈને આસપાસમાં પોતાને માટે ખાવાની અને રહેવાની વ્યવસ્થા કરે, કેમકે આપણે અહીં ઉજજડ સ્થળે છીએ."
13 તેમણે જવાબ આપ્યો, "તમે તેઓને કંઈક ખાવાનું આપો!"
તેઓએ જવાબ આપ્યો, "અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે, અમે જઈને એ સઘળાં ટોળા માટે ખાવાનું વેચાતું લાવીએ." 14 (ત્યાં લગભગ પાંચ હજાર પુરુષો હતા.)
પણ તેમણે પોતાનાં શિષ્યોને કહ્યું, "લોકોને પચાસ પચાસની પંગતમાં બેસાડો." 15 શિષ્યોએ તેમજ કયુઁ અને બધા બેસી ગયાં. 16 પાંચ રોટલી અને બે માછલી લઇને ઈસુએ આકાશ તરફ જોઇને તેમણે આભાર માનીને તેમનાં ટુકડાં કરીને આપી, પછી તેમણે લોકોને પીરસવાં માટે શિષ્યોને આપી. 17 તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.