સાચું સુખ
1 જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,
જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી,
અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.
2 યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે
અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.
3 તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે,
જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે,
જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી,
તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.
4 દુષ્ટો એવા નથી,
પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.
5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ
અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
6 કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે,
પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.